ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનની ચૂંટણી પ્રચારમાં ઈમરાન ખાનની પાર્ટીના હોર્ડિંગ્સમાં સિદ્ધુ મૂસેવાલાની તસવીર, ફોટો વાઇરલ

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પંજાબના પ્રખ્યાત ગાયક અને દિવંગત રાજનેતા સિદ્ધુ મૂસેવાલા ફરી એકવાર ચર્ચામાં છે. આ મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંત સાથે જોડાયેલો છે. અહીં 17 જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે. હાલ અહીં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના હોર્ડિંગમાં સિદ્ધુ મુસેવાલાની તસવીર પણ છે. તેમની તસવીર સાથે ‘295’ નંબર પણ લખવામાં આવ્યો છે.

મુલતાન પ્રાંતમાં ચૂંટણીનું આયોજન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવનારી પેટાચૂંટણીમાં ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ લોકોમાં લોકપ્રિયતા કેશ કરવા માટે સિદ્ધુ મુસેવાલાનો ઉપયોગ કરી રહી છે. ન્યૂઝ ઇન્ટરનેશનલ અખબાર અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુલતાન ક્ષેત્રમાં PP-217 સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના હોર્ડિંગ્સ પર મુસેવાલાની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હોર્ડિંગમાં પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીના પુત્ર જૈન કુરેશીની તસવીર પણ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં જે ચૂંટણી પોસ્ટર સામે આવ્યા છે તેમાં મૂસેવાલાના ચિત્ર સાથે ‘295’ લખેલું છે, જે ગાયકના લોકપ્રિય ગીતનો સંદર્ભ છે. આ ગીત ભારતીય દંડ સંહિતાની કલમ પર કોમેન્ટ્રી છે, જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

મુસેવાલાની તસવીર પર કુરેશીએ શું કહ્યું?
જ્યારે જૈન કુરેશીને ચૂંટણી હોર્ડિંગ પર મુસેવાલાની તસવીર વિશે પૂછવામાં આવ્યું તો તે અજાણ્યો હોય તે રીતે વર્ત્યો. તેણે બીબીસી ઉર્દૂને કહ્યું, ‘હું પોસ્ટર પર સિદ્ધુ મૂસેવાલાનો ફોટો છાપનાર તમામનો આભાર માનું છું. કારણ કે આ પોસ્ટર તેમની તસવીરને કારણે ખૂબ જ વાયરલ થયું છે. અમારું કોઈ પોસ્ટર અગાઉ વાયરલ થયું ન હતું.

ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ 28 વર્ષના શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ફેબ્રુઆરીમાં કોંગ્રેસની ટિકિટ પર માનસાથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

Back to top button