ભાજપ પર ભડક્યા ઉદ્ધવ ! કેમ કુકડા સાથે કરી BJPની સરખામણી ?


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. ઉત્તર ભારતીય મહાસંઘના નેતાઓને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “તમે મારા તરંગમાંથી ગમે તેટલા તીર કાઢો, પણ તીર ચલાવવા માટે ધનુષ્યની જરૂર પડે તે મારી પાસે છે. જે શિવસેના પર આ લોકો દાવો કરી રહ્યા છે તે મારી પાસે છે. અમારા લોકો ગદ્દાર નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભાજપ આપણા લોકોને ગેરમાર્ગે દોરીને દેશદ્રોહનું કામ કરી રહી છે. મારા લોકોએ અમને છોડી દીધા છે તેનાથી મને દુઃખ નથી, પરંતુ સમસ્યા એ છે કે ભાજપ શિવસેનાને ખતમ કરવા માંગે છે. (ભાજપ) એક કૂકડો લડાવી રહી છે. જ્યારે આ લડાઈમાં એક કૂકડો મરી જશે, તો ભાજપ બીજા કુકડાને મારી શિવસેનાને ખતમ કરી નાંખશે. આ રીતે તેમનો ઈરાદો પૂરો થશે.”
શિવસેનાના 12 સાંસદોએ બળવો કર્યો
મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. આજે શિવસેનાના સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના 12 બળવાખોર સાંસદોએ મંગળવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા અને તેમને સંસદના નીચલા ગૃહમાં પક્ષના નેતા બદલવાની વિનંતી કરી.

ઉદ્ધવ ઠાકરે જૂથે સ્પીકરને પત્ર પણ લખ્યો
લોકસભામાં પાર્ટીના ફ્લોર લીડર વિનાયક રાઉતે સ્પીકરને પત્ર પાઠવ્યાના એક દિવસ પછી, શિવસેનાના 12 સાંસદો આજે ઓમ બિરલાને મળ્યા હતા. વિનાયક રાઉતે પત્રમાં કહ્યું હતું કે પ્રતિસ્પર્ધી એકનાથ શિંદેએ જૂથના કોઈપણ પ્રતિનિધિત્વને ધ્યાનમાં લેવું જોઈએ નહીં.