ગુજરાત

ગુજરાતમાં ઓટોમોબાઇલ પાર્ટ્સના વેપારીઓને ત્યાં SGSTના દરોડા

  • સમગ્ર રાજ્યમાં 50 સ્થળો પર દરોડા પાડી તપાસ શરૂ કરવામાં આવી
  • સુરતમાં પણ 10 સ્થળો પર એસેસરીઝના વેપારીઓને ત્યાં તપાસ શરૂ
  • જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની વિગતો અધિકારીઓને મળી

રાજ્યભરમાં ઓટોમોબાઇલ પાર્ટ્સના 50 વેપારીઓને ત્યાં SGSTના દરોડા પડ્યા છે. જેમાંનવરાત્રિ અને દિવાળી ટાણે કારના મોટી સંખ્યામાં વેચાણ બાદ પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ગાડીઓનું વેચાણ થતું હોય છે. ત્યારે એસેસરીઝ વેચતા 50 વેપારીઓને ત્યાં જીએસટીની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે વિલંભ, જાણો શું છે કારણ 

સમગ્ર રાજ્યમાં 50 સ્થળો પર દરોડા પાડી તપાસ શરૂ કરવામાં આવી

નવરાત્રિ અને દિવાળીના અરસામાં સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ગાડીઓનું વેચાણ થતું હોય છે. ગાડીઓનું વેચાણ થવાની સાથે તેને સંલગ્ન એસેસરીઝનું પણ વેચાણ થતું હોવા છતાં ધાર્યા પ્રમાણેની જીએસટીની આવક થતી નહીં હોવાનું સ્ટેટ જીએસટીના અધિકારીઓને ધ્યાને આવતા સમગ્ર રાજ્યમાં 50 સ્થળો પર દરોડા પાડી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં સુરતમાં પણ 10 સ્થળો પર એસેસરીઝના વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિવિધ વિસ્તારોની પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઈટ પર AMCએ લાલા આંખ કરી 

એસેસરીઝ પર 18 ટકા જીએસટી ભરપાઇ કરવાનો નિયમ છે

ટુ-વ્હીલર અને ફોરવ્હીલ ગાડી માટેની મોટાભાગની એસેસરીઝ પર 18 ટકા જીએસટી ભરપાઇ કરવાનો નિયમ છે. જોકે ટ્રેક્ટર માટેની એસેસરીઝમાં પાંચ ટકા જીએસટી વસૂલાત કરવામાં આવતો હોય છે. તે સિવાયની મોટાભાગની એસેસરીઝ 18 ટકાના દાયરામાં આવતી હોવાથી અનેક વેપારીઓ દ્વારા પાકા બિલના બદલે કાચા બિલમાં જ તેનું વેચાણ કરતા હોય છે. કાચા બિલમાં એસેસરીઝનું વેચાણ કરવામાં આવતું હોવાથી જીએસટી ચોરી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની શરૂઆત, અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડી અંગેની આગાહી 

જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની વિગતો સ્ટેટ જીએસટીના અધિકારીઓને મળી

અનેક વેપારીઓ દ્વારા જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની વિગતો સ્ટેટ જીએસટીના અધિકારીઓને મળી હતી, કારણ કે શહેરમાં ઓટોમોબાઇલ એસેસરીઝનો માલ આવે અને તેની સામે થતું વેચાણના આંકડામાં વિસંગતતા આવતી હતી. સ્ટેટ જીએસટીના અધિકારીઓ છેલ્લા એક મહિનાથી આવી તમામ બાબતોનું મોનિટરિંગ કરતી હોવાથી જીએસટી ચોરી મોટાપાયે થઇ રહી હોવાની આશંકા મજબૂત બની હતી. તે આધારે સમગ્ર રાજ્યમાં આજે એસેસરીઝ વેચતા 50 વેપારીઓને ત્યાં જીએસટીની તપાસ શરૂ કરવામાં આવી હતી.

Back to top button