કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ટંકારામાં રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલઃ નાની મોટી વાતને દરગુજર કરજો

Text To Speech

રાજકોટ, 23 એપ્રિલ 2024, લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા. તેમણે રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંચ પરથી પુરુષોતમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી હતી. રાષ્ટ્રનાં કામમાં જોડાવા અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ક્ષત્રિય સમાજને આહ્વાન પણ કર્યું હતું.

‘જય શિવાજી, જય ભવાની’ના નારા લગાવ્યા
પુરુષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય યુવાનો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સભામાં મંચ પરથી પુરુષોતમ રૂપાલાએ ‘જય શિવાજી, જય ભવાની’ના નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજ મંચ પર બેસી સાથે રહેવાની વાત કરી હતી. ત્યારે ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે મોદીના હાથ મજબૂત બનાવો નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની-મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ કરી હતી. રૂપાલાનો રોડ શો મોરબીના રવાપર રોડ પર હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવ્યો હતો.

વાવટા ફરકાવી અને નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો
રવાપર ગામે બહુચરાજી માતાજી મંદિર સામે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યાં સભા યોજાઈ હતી. જે સભામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ સભા સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે તે કોઈને ખબર નથી તેવો કટાક્ષ કર્યો હતો. રાજકોટ બેઠક પર 100 ટકા મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગકારો પાસે મોટો પરિવાર છે અને તે પોતાના મતદારની સૂચી બનાવે અને મતદાન કરવા અપીલ કરે સાથે જ તેઓએ પોતાના સંબોધનમાં ભાજપ સરકારની યોજનાઓ વર્ણવી હતી અને શિક્ષણની પ્રગતિ વિશે વાત કરી હતી. રૂપાલાનો રોડ શો યોજાય તે પૂર્વે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી અને નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ પોલીસે યુવાનોને ડીટેઈન કર્યા હતા.

આ પણ વાંચોઃરાજકોટને કોઈની નજર ના લાગે તે માટે લીંબુનું તોરણ લગાવવા આવ્યો છુંઃ ધાનાણીનો કટાક્ષ

Back to top button