ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત-વિરાટ અને બુમરાહ શ્રીલંકા સામેની વનડેમાં રહી શકે છે બહાર, જાણો કારણ

  • રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને IPLની શરૂઆતથી જ સતત ક્રિકેટ રમી રહ્યા છે 

HD ન્યૂઝ ડેસ્ક, 9 જુલાઇ: ભારતની યુવા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર પાંચ T20 મેચોની શ્રેણી રમી રહી છે. આ પછી ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. T20 શ્રેણી જુલાઈના અંતમાં રમાશે. વનડે શ્રેણી 2જી ઓગસ્ટથી શરૂ થશે. ત્યારે અહેવાલ મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ BCCI પાસે લાંબો બ્રેક માંગ્યો છે. તેથી વનડે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પણ વનડે શ્રેણીમાંથી બ્રેક આપવામાં આવી શકે છે.

રોહિત શર્મા છેલ્લા 6 મહિનાથી સતત રમી રહ્યો છે ક્રિકેટ

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને IPLની શરૂઆતથી જ સતત ક્રિકેટ રમી રહ્યા છે. સાડત્રીસ વર્ષના રોહિત શર્માએ છેલ્લા છ મહિનાથી બ્રેક લીધો નથી. તે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદથી સતત રમી રહ્યો છે. તે પછી અફઘાનિસ્તાન સામેની T20, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી, IPL અને T20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની ધરતી પર આયોજિત થવાની છે અને તેના માટે ટીમ ઈન્ડિયાએ ICCને શેડ્યૂલ પણ મોકલી દીધો છે. પરંતુ હાલમાં ટીમ ઈન્ડિયા ત્યાં જશે કે નહીં તે અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. બોર્ડના એક સૂત્રના જણાવ્યા મુજબ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચ તૈયારી માટે પૂરતી છે. આ પછી, આગામી કેટલાક મહિનાઓ સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટને પ્રાથમિકતા આપશે કારણ કે ભારતે સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે દસ ટેસ્ટ રમવાની છે.

રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનના દાવેદાર

જો કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ પર નહીં રમે. તો આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપ માટે બે મોટા દાવેદાર છે. જેમાં કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાનું નામ સામેલ છે. આ બંને ખેલાડીઓ રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યા છે અને તેમની પાસે IPLમાં પણ કેપ્ટનશિપનો સારો અનુભવ છે.

કે.એલ.રાહુલે અત્યાર સુધી 12 વનડે મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 8મા જીત મેળવી છે. તે જ સમયે, તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ ત્રણ વન-ડે મેચમાં સુકાનીપદ સંભાળ્યું છે. તેણે 3 મેચમાં કેપ્ટનશિપ કરી છે અને માત્ર બેમાં જ જીત મેળવી છે. કે.એલ.રાહુલને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. જ્યારે પંડ્યાએ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં છેલ્લી ઓવર નાખી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.

આ પણ જુઓ: માલદીવે T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને મોકલ્યું આમંત્રણ, કહ્યું- ‘એક વખત તો આવો’

 

Back to top button