T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

રોહિત શર્માએ ઋષભ પંતના હાથે કેક ખાવાની ના પાડી દીધી – જુઓ વિડીયો

Text To Speech

26 મે, મુંબઈ: ગઈકાલે રાત્રે ટીમ ઇન્ડિયાનો પહેલો બેચ T20 World Cup રમવા માટે મુંબઈથી ન્યૂયોર્ક જવા માટે રવાના થઇ ગઈ હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં IPLને કારણે બે બેચમાં જવાની છે. આ રવાનગી અગાઉ રોહિત શર્માએ ઋષભ પંતના હાથે કેક ખાવાની ના પાડી દીધી હતી. આ ઘટનાનો એક વાયરલ વિડીયો પણ સામે આવ્યો છે.

ગઈકાલે ટીમના પ્લેનમાં બેઠા અગાઉ એક નાનો વિદાય સમારંભ BCCI દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં કેક પણ કાપવામાં આવી હતી. ઋષભ પંતે કેક ખાધા બાદ તમામ ખેલાડીઓને પોતાના હાથે કેક ખવડાવી હતી અને ત્યારબાદ તે કેપ્ટન રોહિત સામે વળ્યો હતો.

પરંતુ રોહિત શર્માએ ઋષભ પંતના હાથે કેક ખાવાની સ્પષ્ટ મના કરી દીધી હતી. રોહિતે ઋષભનો કેક પકડેલો હાથ દૂર કરી ને કહ્યું હતું કે, ‘જીતને કે બાદ ખાયેંગે’. તેનો મતલબ એવો થાય છે કે રોહિત શર્મા માટે વિદાય સમારંભની કેક કરતાં જ્યારે ટીમ T20 World Cup જીતશે અને ત્યારબાદ ઉજવણી કરશે તેની કેક ખાવાનું વધુ પસંદ કરશે.

આ રોહિત શર્માનો વિશ્વાસ દર્શાવે છે અને એક કેપ્ટન તરીકે તેના આ વિશ્વાસનો પડઘો બાકીનાં ટીમના સભ્યોમાં પણ પડે તે પણ જરૂરી હોવાથી તેણે આમ કર્યું હોય તે શક્ય છે.

ગઈકાલે અમેરિકા રવાના થનારી બેચમાં રોહિત ઉપરાંત જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંઘ, ખલીલ અહમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને શુભમન ગિલ સામેલ હતા. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ આ જ ગ્રુપમાં અમેરિકા જવા રવાના થયા હતા.

IPL Playoffsમાં રમનારા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જેવાકે વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, રીંકુ સિંઘ, યુઝવેન્દ્ર ચહલ વગેરે આજની IPL ફાઈનલ પત્યા બાદ એક કે બે દિવસમાં અમેરિકા જવા રવાના થશે.

આવનારા T20 World Cupમાં ભારત 5 જૂને ન્યૂયોર્કમાં નવા ઉભા કરવામાં આવેલા નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયરલેન્ડ સામે રમીને પોતાના વર્લ્ડ કપની શરૂઆત કરશે.

અત્રે એ નોંધનીય છે કે ગઈકાલે રવાના થયેલા ટીમ ઇન્ડિયાના પહેલા બેચમાં હાલમાં વ્યક્તિગત વિવાદોથી ઘેરાયેલા ટીમના ઉપકપ્તાન હાર્દિક પંડ્યા સામેલ થયા નથી.

Back to top button