ઉત્તર ગુજરાત

બનાસકાંઠા કોંગ્રેસમાં હડકંપ : ધારાસભ્યએ ઠાકોર સમાજને અન્યાય કર્યાનો આક્ષેપ

Text To Speech
  • શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં આગેવાન પ્રધાનજી ઠાકોરનો આક્ષેપ
  • તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકમાં પણ સમાજના ઉમેદવારોને કર્યા હતા ઘરે ભેગા
  • થરાદમાં એકાએક રાજકીય ગરમાવો આવી ગયો

પાલનપુર: આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ બનાસકાંઠા જિલ્લામાં થરાદ કોંગ્રેસમાં ભુકંપ આવ્યો છે. અહીંના ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઠાકોર સમાજના અગ્રણી પ્રધાનજી ઠાકોરે વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

થરાદમાં સદારામ શિક્ષણ મંડળ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં સમાજના લોકો સમક્ષ પ્રધાનજીએ જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લા પંચાયત જેવી ચૂંટણીઓમાં પણ ક્રોસ વોટિંગ કરાવી ઠાકોર સમાજના ઉમેદવારને ધારાસભ્યએ ઘર ભેગો કર્યા હતા. વર્ષ 2021 માં હું યુથ કોંગ્રેસની ચૂંટણી લડતો હતો. ત્યારે પણ થરાદના ધારાસભ્યને એમ કે, પ્રધાનજી ઠાકોર યુથ કોંગ્રેસના પ્રમુખ બની જશે અને ઠાકોર સમાજનો અવાજ બનશે તો સમાજને કઈ દિશામાં લઈ જશે. તેવા ભયથી ધારાસભ્ય એ સમાજને દબાવવા માટે એડી ચોટીનો જોર લગાવ્યું હતું. ત્યારે હવે તેમને જવાબ આપવો જોઈએ કે નહીં ? તેમ જણાવીને ઉપસ્થિત રહેલા સમાજના લોકોનું સમર્થન માંગ્યું હતું.

પ્રધાનજીએ વધુમાં જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે આજ જગ્યાએથી ઠાકોર સમાજ નક્કી કરશે કે તેમને કઈ દિશામાં જવું છે. હવે ઠાકોર સમાજ ચૂંટણીમાં ટિકિટ માટે ભીખ નહિ પણ પોતાનો હક માંગશે.

આ પણ વાંચો : નવી શરૂ થયેલી ‘વંદે ભારત ટ્રેન’ને અમદાવાદ નજીક નડ્યો અકસ્માત, જુઓ વિડીયો

ઠાકોર સમાજ સમાજના આગેવાનોને જણાવતા પ્રધાનજીએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં સમાજના લોકો ટિકિટ માંગો. થરાદમાં આપણા સમાજના 42000 થી વધુ મત હોય ત્યારે આપણે ભીખ માંગવી પડતી હોય તો આ સમાજને નીચે જોવાનું આવે. તેમ તેમને ઉમેર્યું હતું. આમ આવનારી ચૂંટણીમાં ઠાકોર સમાજ પોતાની તાકાત બતાવવા માટે શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે.

થરાદમાં એકાએક રાજકીય ગરમાવો આવી ગયો

થરાદમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ગુલાબસિંહ રાજપૂત છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પ્રધાનજી ઠાકોરે થરાદના ધારાસભ્યએ ઠાકોર સમાજને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં આ સમાજના અગ્રણીઓ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ટિકિટ માંગશે. પ્રધાનજીએ ટિકિટ માટે ભીખ નહીં પરંતુ હક માગવાની વાત દોહરાવી છે. જેને લઇને જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો ઠાકોર સમાજ કોંગ્રેસની વિરુદ્ધ જશે તો આ બેઠક ઉપર કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ ચડવા પડે તેવી સ્થિતિ પણ સર્જાય તો નવાઈ નહીં.

Back to top button