કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી દુર્ઘટનાનું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરની સત્તાવાર જાહેરાત

Text To Speech

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટનામાં મચ્છુ નદીમાં અનેક લોકો ડૂબી જતાં નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના શોધખોળ ચાલુ હતી પરંતુ છેલ્લા બે દિવસથી કોઈ મૃતદેહ ન મળતા આજે રાહત કમિશનર હર્ષદ પટેલે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયાની જાહેરાત કરી છે તેમજ આ ઘટનામાં 135 લોકોના મોતનો આંકડો સત્તાવાર જાહેર કરવામાં આવ્યો છે.

શું કહ્યું રાહત કમિશનર હર્ષદ પટેલે ?

આ દુર્ઘટનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે એજન્સીઓ દ્વારા રવિવારે સાંજથી મચ્છુ નદીમાં ડૂબી ગયેલ લોકોને શોધવા સર્ચ ઓપરેશન કરવા આવી રહ્યું હતું અને આ ઓપરેશનના જવાબદાર અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટરે બેઠક કરી હતી, ત્યારબાદ અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા આજે મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા મચ્છુ નદીમાં મિસિંગ હોય તેવા લોકોને શોધવા માટે જે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું તેને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ તકે બચાવ – રાહતની કામગીરીમાં સહયોગ આપનાર તમામ નાગરિકો, સંસ્થાઓનો તેમજ પત્રકારોનો કલેકટરે આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારની સહાય ચૂકવાઈ ગઈ, કેન્દ્રની ચુકવવા તજવીજ

આ સાથે સરકારના ચોપડે સત્તાવાર રીતે 135 લોકોના મોત નોંધાયા છે, આ તમામ મૃતકોની રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાય તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકારની રૂ.2 લાખની સહાય ચૂકવવા માટે થઈને તજવીજ ચાલતી હોવાનું જાણવા મળે છે. હાલ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેઓને પણ લગભગ રાજ્ય સરકારની સહાય ચૂકવાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Back to top button