કંડક્ટરની પરીક્ષાના ST-SC ઉમેદવારો માટે રાહતના સમાચાર, જાણો તમને કઈ સુવિધા મળશે?


ગાંધીનગર, 27 ડિસેમ્બર, કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી તા. ૨૯ ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.
એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…યાત્રી કૃપયા ધ્યાન દે..! ધુમ્મસના કારણે રેલવેએ માર્ચ સુધી ઘણી ટ્રેનો રદ કરી, જાણો યાદી