ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રિયાસી આતંકી હુમલો: કાશ્મીર પોલીસે આતંકીનો સ્કેચ જારી કરીને 20 લાખનું ઈનામ રાખ્યું

  • પોની વિસ્તારના તેરયાથ ગામ નજીક શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર આતંકવાદીઓએ કર્યો હતો ગોળીબાર

કાશ્મીર, 12 જૂન: જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો અને તેના વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તાજેતરમાં, રવિવારે પોની વિસ્તારના તેરયાથ ગામ નજીક શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.

 

પોલીસે આતંકવાદી વિશે શું કહ્યું?

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રિયાસી પોલીસે પોની વિસ્તારમાં પેસેન્જર બસ પર થયેલા તાજેતરના હુમલામાં સામેલ આતંકવાદી સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ માહિતી માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, પ્રત્યક્ષદર્શીઓએ આપેલા વર્ણનના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.

આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે 53 સીટર બસ શિવખોરી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી. બસ પર ગોળીબાર પોની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઈ હતી. અહેવાલો અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.

આ નંબરો પર માહિતી આપી શકાય છે

  1. SSP રિયાસી – 9205571332
  2. ASP રિયાસી – 9419113159
  3. ડેપ્યુટી એસપી મુખ્યાલય રિયાસી – 9419133499
  4. એસએચઓ પૌની – 7051003214
  5. એસએચઓ રાનસુ- 7051003213
  6. પીસીઆર રીસી- 9622856295

ટીમો આતંકીઓ શોધમાં લાગેલી 

રિયાસી હુમલામાં સામેલ તમામ આતંકીઓને શોધવા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે. આમાં સુરક્ષા કર્મચારીઓની 11 ટીમ કામ કરી રહી છે. સોમવારે પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ રિયાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ NIAની ટીમ પુરાવા એકત્ર કરી રહી છે.

આ પણ જુઓ: કાશ્મીરમાં ત્રીજો આતંકી હુમલો! ડોડામાં પોલીસ ચોકી પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર

Back to top button