કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

રાજકોટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવમાં આપી હાજરી, જાણો શું કહ્યું

Text To Speech

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન – રાજકોટ અમૃત મહોત્‍સવ અંતર્ગત મવડી કણકોટ રોડ પર નિર્મિત સહજાનંદ નગર ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજયભરમાંથી આવેલા 10000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહાત્‍મ્‍ય સમજાવી માર્ગદર્શિત કર્યા હતા. રાજયપાલ એ પ્રાકૃતિક ખેતીનું મહત્‍વ અને જરૂરિયાત સમજાવતા કહ્યું હતું કે, એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિની જરૂરિયાત હતી, પરંતુ રાસાયણિક ખાતરના વપરાશના કારણે પર્યાવરણ જળ-વાયુ અને માનવ શરીરને નુકસાન સહન કરવું પડ્‍યું છે. કેન્‍સર સહિતના રોગોમાં અપ્રમાણસર વધારો જોવા મળી રહ્યો છે માટે હવે સમયની જરૂરિયાત છે કે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.

આચાર્યે પોતાનો અનુભવ જણાવ્યો

પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્‍પાદન ઘટે છે તે વાત બિલકુલ ખોટી છે તેમ કહી રાજયપાલે સ્‍વાનુભવ જણાવ્‍યો હતો કે પૂર્ણ જ્ઞાન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્‍પાદનમાં સતત વધારો થતો રહે છે. આ ઉપરાંત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્‍ચેનો ભેદ પણ તેમણે સમજાવ્‍યો હતો. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ખેડૂતોના ઉત્‍કર્ષ અને સમૃદ્ધિના સ્‍વપ્‍નને પરિપૂર્ણ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્‍પ હોવાનું રાજયપાલ એ જણાવ્‍યું હતું.

શા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે ?

રાજયપાલે વધુમાં ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરના સતત વપરાશને કારણે જમીન બંજર બનતી જાય છે તેમજ ઉત્‍પાદન વધારવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેના પરિણામે કીટકો અને અળસિયા જેવા જીવ મિત્રો નાશ પામે છે, ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. દેશી ગાયોનો ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે, શુદ્ધ દૂધ મળવાનું ઘટી રહ્યું છે આ તમામ પરિબળોમાંથી બહાર આવવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે.

Back to top button