

નેશનલ ડેસ્કઃ રાજસ્થાનના ભરતપુરથી બીજેપી સાંસદ રંજીતા કોળી પર ફરીથી ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે રંજીતા કોળીએ નજીકના કોઈ ખેતરમાં જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ખનીજ માફિયાઓ દ્વારા આ રંજીતા કોળી પર ચોથો હુમલો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે દિલ્હીથી પરત ફરતી વખતે રંજીતા કોળીએ કમન વિસ્તારમાં બોર્ડર પર ઓવરલોડ 150 ટ્રક જોઈ, જે બાદ કોળીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને જવાબમાં તેમણે પથ્થરમારો કર્યો. કોળીએ કહ્યું, ‘મેં જોયું કે લગભગ 150 ટ્રક ઓવરલોડ હતી. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ભાગ્યા. તેઓએ વિચાર્યું કે હું કારમાં છું અને તેઓએ પથ્થરમારો કરીને મારી કાર તોડી નાખી. મારી હત્યા થઈ શકી હોત, તેમણે મારા પર હુમલો કર્યો છે પરંતુ હું ગભરાઈશ નહીં.’
ધરણા પર બેઠેલા સાંસદ રંજીતા કોળી
સાંસદ પર થયેલા હુમલા અંગે એએસપી આરએસ કાવિયાએ કહ્યું કે, સાંસદે અમને આ બાબતે જાણ કરી છે. સાંસદ રંજીતા કોળીએ પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવીને સ્થળ પર જ ધરણા પર બેસવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે હુમલાની જાણ થયાના બે કલાક પછી પણ પોલીસ પહોંચી નથી.’