ટોપ ન્યૂઝનેશનલ

મધ્યપ્રદેશમાં મેઘતાંડવ, 39 જિલ્લામાં એલર્ટ; ક્યાંક NDRF તૈનાત તો ક્યાંક વાયુસેના પાસેથી મંગાઈ મદદ

Text To Speech

મધ્યપ્રદેશમાં વરસાદના કહેર વચ્ચે નદીઓના વધતા જળ સ્તરને પહોંચી વળવા અને પૂરની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રે ઝીણવટભરી તૈયારીઓ કરી છે. મળતી માહિતી મુજબ તંત્રે રાજ્યની નદીઓના પાણીના સ્તરમાં વધારો, ડેમ ભરવાના કારણે અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. મંગળવારે ભોપાલ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે જયારે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

બેતવા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે વિદિશાના 70 ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. ભોપાલ શહેરના ઈન્ડસ કોલોની, શિવનગર વગેરે સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે નાગરિકોને પણ અહીંથી ખસેડવામાં આવ્યા છે. NDRFની ત્રણ ટીમો અને રાજ્ય આપત્તિ નિયંત્રણ દળની ચાર ટીમો ભોપાલમાં તૈનાત કરવામાં આવી છે. સાથે જ વાયુસેનાના બે વિમાન વિદિશા મોકલવામાં આવ્યા છે.

સીએમ શિવરાજ સિંહની સમગ્ર હાલત પર નજર

NDRFની 8 ટીમો રાજ્યના અન્ય ભાગોમાં તૈનાત છે. વિદિશામાં ત્રણ ટીમો ઉપરાંત ગ્વાલિયરમાં બે, સિહોરમાં એક, નર્મદાપુરમમાં એક અને જબલપુરમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. નર્મદાની જળસપાટી છેલ્લા 24 કલાકમાં 945 ફૂટથી 964 ફૂટે પહોંચી છે. નર્મદા અને બેતવા નદીને અડીને આવેલા જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સૂચના પર અધિક મુખ્ય સચિવ ગૃહ રાજેશ રાજૌરા સાંજથી જિલ્લાઓમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે સોમવારે રાજ્યના પશ્ચિમ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે ઉજ્જૈન અને રાજગઢમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગ્વાલિયર, નર્મદાપુરમ, ઇન્દોર, ભોપાલ, રાયસેન, સિહોર અને વિદિશામાં વરસાદનું એલર્ટ છે. આ સિવાય સાગર, ચંબલ અને જબલપુરમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યના મોટા ભાગોમાં નદીઓ, નાળાઓ અને અન્ય જળસ્ત્રોત તૂટયા છે અને પાણી છોડવા માટે ઘણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ખાસ કરીને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઘણા રસ્તાઓ પર ઓછી વિઝિબિલિટીને કારણે વાહનોની અવરજવર ઓછી જોવા મળી. રાજ્યના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો છે. IMDએ લોકોને મુશળધાર વરસાદ વચ્ચે મુસાફરી ટાળવાની સલાહ આપી છે. સોમવારે ભોપાલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

Back to top button