અમદાવાદ DEOનો નિર્ણય, મંજૂરી વિના કોઈપણ શાળા પ્રવાસનું આયોજન નહિં કરી શકે


અમદાવાદ, 27 જાન્યુઆરી: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓ આદેશ આપ્યો છે કે, કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરે તો સૌથી પહેલા DEOની પરવાનગી મેળવવી પડશે. મંજૂરી વગર કોઈપણ શાળા વિદ્યાર્થીઓને પ્રવાસ નહીં લઈ જઈ શકે. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થોડા દિવસ પહેલાં વડોદરાની હરણી તળાવમાં બનેલી દુર્ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાના પગલે હવે તંત્ર સફાળે જાગ્યું છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય
હરણી દુર્ઘટના ફરીવાર ન સર્જાઈ તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી છે. કોઈપણ શાળાએ સ્થાનિક કે દૂર બંને પ્રવાસની મંજૂરી લેવા માટે જિલ્લા શિક્ષણ કચેરીને જણાવવું પડશે. આ ઉપરાંત, જિલ્લાની કોઈપણ શાળા મંજૂરી વગર વિદ્યાર્થીઓને પ્રવાસ પર લઈ જશે તો કાયદેસર કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, શાળાની માન્યતા રદ થવા સુધીના પગલાં પણ લેવાશે તેમ જણાવ્યું છે.
શાળાના રાત્રિ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
આ નિર્ણયમાં શાળાના રાત્રિ પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં 10 આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાઇ ગયો છે. જેમાં 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું.
આ પણ વાંચો: વડોદરા હરણી તળાવ દૂર્ધટનામાં મુખ્ય સૂત્રધાર સામે લૂકઆઉટ નોટિસ નીકળશે