શ્રીલંકામાં કટોકટી વચ્ચે દેશ છોડવાના પ્રયાસમાં હતા રાષ્ટ્રપતિ રાજપક્ષેના નાના ભાઈ, એરપોર્ટ પર લોકોના ભારે વિરોધ બાદ પરત ભાગવું પડ્યું


શ્રીલંકામાં જોવા મળતી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નાના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બેસિલ રાજપક્ષે દેશ છોડવાના પ્રયાસમાં હતા પરંતુ એરપોર્ટ પર યાત્રિકો અને અધિકારીઓના વિરોધને કારણે તેમને પરત જવું પડ્યું હતું. ‘કોલંબો ગેજેટ’ મુજબ રાજપક્ષેએ ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટના ‘સિલ્ક રૂટ’ લોન્જથી નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ કેટલાંક યાત્રિકોએ તેમને જોઈ લીધા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં યાત્રિકોએ આપત્તિ વ્યક્ત કરતા પૂર્વ નાણામંત્રીને જવાની મંજૂરી નહીં આપવાની માગ કરતા જોવા મળે છે. ‘સિલ્ક રૂટ’ લોન્જમાં હાજર ઈમિગ્રેશન અધિકારી પણ વિરોધને કારણે દૂર થઈ ગયા. મળતી માહિતી મુજબ જેના કારણે બેસિલ રાજપક્ષેને પરત ફરવા માટે મજબૂર કરવામાં આવ્યા. રાજપક્ષેને આજે સવારે અમીરાતની ફ્લાઈટમાં દુબઈ થઈને વોશિંગ્ટન માટે રવાના થવાનું હતું.

લોકોમાં રાજપક્ષેના પરિવાર પ્રત્યે રોષ
શ્રીલંકામાં ભીષણ આર્થિક સંકટ પછી જનતામાં દેશના શક્તિશાળી રાજપક્ષે પરિવાર વિરૂદ્ધ ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. બેસિલના બંને મોટા ભાઈ ગોટબાયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે રહી ચુક્યા છે. મહિન્દા રાજપક્ષે દેશના વડાપ્રધાન પણ રહી ચુક્યા છે.

13 જુલાઈએ રાજીનામું આપશે ગોટબાયા રાજપક્ષે
લોકોના ભારે વિરોધ વચ્ચે ગોટબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે શનિવારે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનમાં ધાવો બોલનાર હજાર પ્રદર્શનકારી હજુ પણ રાષ્ટ્રપતિ ભવનમાં જ છે. પ્રદર્શનકારીઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ રાજપક્ષે રાજીનામું નહીં આપશે ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાલી નહીં કરે.


