ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ઘરે જઈને અર્પણ કર્યો ભારત રત્ન

  • ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રવિવારે તેમના નિવાસ સ્થાને જઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન અર્પણ કરવામાં આવ્યો

દિલ્હી, 31 માર્ચ: દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના નિવાસ સ્થાને જઈને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા અને આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા. આ વર્ષે એમએસ સ્વામીનાથન, લાલ કૃષ્ણ અડવાણી, કર્પુરી ઠાકુર, નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તબિયત ખરાબ હોવાના કારણે અડવાણી ગઈ કાલે (30 માર્ચ) શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા.

 

અડવાણીની પ્રતિક્રિયા

જ્યારે ફેબ્રુઆરી 2024માં અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમણે તેના પર ખુશી વ્યક્ત કરી હતી. લાલકૃષ્ણ અડવાણીએ તેમના નિવેદનમાં કહ્યું, ‘અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું ‘ભારત રત્ન’ સ્વીકારું છું જે મને આજે એનાયત કરવામાં આવ્યો છે. તે માત્ર એક વ્યક્તિ તરીકે મારા માટે જ નહીં, પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માનની વાત છે જેને મેં જીવનભર મારી ક્ષમતા મુજબ સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.

અડવાણીએ કહ્યું, “હું મારા પરિવારના તમામ સભ્યો, ખાસ કરીને મારી પ્રિય સ્વર્ગસ્થ પત્ની કમલા પ્રત્યે મારી ઊંડી લાગણીઓ પણ વ્યક્ત કરું છું. તે મારા જીવનમાં શક્તિ અને સ્થિરતાનો સૌથી મોટો સ્ત્રોત રહી છે.” તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે પ્રાર્થના પણ કરી, “આપણો મહાન દેશ મહાનતા અને ગૌરવના શિખર સુધી પ્રગતિ કરે.

ભારત રત્ન કોને આપવામાં આવે છે?

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન, લોકસેવા અને રમતગમત જેવી રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. ભારત રત્ન એવા લોકોને આપવામાં આવે છે જેઓ તેમના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય અને યોગદાન દ્વારા દેશને ગૌરવ અપાવે છે. વર્ષ 2011 પહેલા ભારત રત્ન માત્ર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવાના ક્ષેત્રોમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવતો હતો, પરંતુ 2011માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે ભારત રત્ન મેળવવા માટે કોઈ ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું નથી. ભારત રત્ન મેળવનાર કોઈપણ ક્ષેત્રમાંથી હોઈ શકે છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિએ 5 વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા, કર્પૂરી ઠાકુર સહિત આ વ્યક્તિઓને સન્માન

Back to top button