ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ, મહંત સ્વામી ભાવવિભોર બન્યા

BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદ ખાતે 600 એકરમાં નિર્માણ પામેલા મહારાજ નગર ખાતે ગત તા.14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી હતી. જે એક મહિનો સુધી એટલે કે ગઈકાલે 14મી જાન્યુઆરીના પૂર્ણ થયું હતું. આ ઉજવણી દરમિયાન સેંકડો લોકોએ આ કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. વિદેશથી પણ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે આ કાર્યક્રમમાં જ્યારે બધું જ સમેટાવા લાગ્યું હતું ત્યારે મહંત સ્વામી અંત્યત ભાવવિભોર બની ગયા હતા.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ઉજવાયેલા સમાપન સમારોહમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને અપાઈ ભક્તિપૂર્ણ ભાવાંજલિ

યુગવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર

અભૂતપૂર્વ મેનેજમેન્ટ, પ્રેરણાદાયી આકર્ષણો, કાર્યક્રમો અને પ્રદર્શનો દ્વારા ઐતિહાસિક અને ચિરસ્મરણીય બની જનાર ભવ્યાતિભવ્ય અને દિવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 30 દિવસમાં 1 કરોડ 21 લાખ કરતાં વધુ દર્શનાર્થીઓએ મેળવી આંતરજાગૃતિની પ્રેરણા

સતત એક મહિના સુધી માનવ ઉત્કર્ષના મહાપર્વ એવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશિષ્ટ સંધ્યા સભાઓ દ્વારા પ્રત્યક્ષ અને જીવંત પ્રસારણ દ્વારા કરોડો લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણાઓ મેળવી

અનેકવિધ પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા હજારોએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવનનો સંદેશ મેળવ્યો

1 લાખ 23 હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે થયા નિયમબદ્ધ  30 દિવસમાં 5628955 સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું એકત્ર થયેલું રક્ત ગુજરાતની 15 બ્લડ બેંકમાં મોકલવામાં આવ્યું

કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અન્ય અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખોને કર્યા અભિભૂત

છેલ્લા એક મહિનાથી નારી ઉત્કર્ષ મંડપ બન્યું મહિલા સશક્તીકરણનું કેન્દ્ર

બાળ-નગરીના પ્રદર્શનખંડો અને અનેકવિધ આકર્ષણોમાંથી પ્રેરણા લઈ અઢી લાખ કરતાં બધુ બાળ-બાલિકાઓએ નિયમકુટિરમાં વિવિધ નિયમો ગ્રહણ કર્યા

પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલન માટે અવિરત કાર્યરત એવા 45 જેટલાં વિભાગોના પ્રબંધન અને 80000 સ્વયંસેવકોના સેવા-સમર્પણ અને ભક્તિમય પુરુષાર્થથી સૌ નતમસ્તક થયા

સમાપન સમારોહમાં ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’ નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો.

અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.

BAPSના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું, “વિચરણ એ ભારતીય સંતોની પ્રણાલી છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ તે જ પરંપરાને ચાલુ રાખી અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ગુરુ શાસ્ત્રીજી મહારાજ આગળ કરેલી પ્રતિજ્ઞા દેહની પરવા કર્યા વગર 96 વર્ષ સુધી પાળીને ગુરુહરીનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે તેમના પ્રેમ અને કરુણા દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે. આ પધરામણીઓ ના ફલશ્રુતિમાં દેશ વિદેશમાં 1200 મંદિરોનું નિર્માણ અને 1000 થી વધુ સુશિક્ષિત સાધુ સંતોનો સમાજ પ્રાપ્ત થયો છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી છે.“ પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર કરોડો લોકોમાંથી કેટલાંક લોકોના સ્વાનુભાવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું. તેમણે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજની પ્રેમ વિશ્વભરના લોકો ક્યારેય નહી ભૂલી શકે કારણકે જે કોઈ પણ પ્રમુખસ્વામી મહારાજને મળ્યા છે તે પ્રમુખસ્વામી મહારાજના થઈ ગયા છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રની સરહદો પૂરતો સીમિત નહોતો. પ્રમુખસ્વામીનું સર્વોત્તમ કાર્ય એ 1200થી વધારે મંદિરો બાંધ્યા છે તે માનવ ઉત્કર્ષના મંદિરો સમાન છે અને આવનારી અનેક પેઢીઓ ક્યારેય ભૂલી નહિ શકે. આજે પુરાતત્વ વિભાગ જેમ અવશેષો પરથી આપણે સંસ્કૃતિ અથવા સભ્યતા નો અંદાજ લગાવી રહ્યા છે પરંતુ આવનારા હજારો વર્ષો પછી કોઈ અંદાજ લગાવશે ત્યારે તેઓ યાદ કરશે કે,’ કેવા હશે તે મહાન પુરુષ જેણે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યથી રંગી નાખી હતી.’ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે , ‘ હું આવનારી પેઢીને ખુશી સાથે કહીશ કે અબુધાબીના હિન્દુ સ્વામિનારાયણ મંદિર નિર્માણ વખતે હું સહભાગી બન્યો હતો.” BAPS મંદિરોના વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રભાવને દર્શાવતી વિડિયો રજૂ કરવામાં આવી હતી.

BAPSના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કેવી રીતે જીવન ઉત્કર્ષના મહાન ઉત્સવોની પરંપરા શરૂ કરી તે જણાવ્યું. નિઃસ્વાર્થ સેવાભાવનાથી કાર્યરત હજારો સ્વયંસેવકોનું નિર્માણ દ્વારા, હજારોમાં વિશિષ્ટ કળા કૌશલ્યને નિખારતા ઉત્સવો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં કરેલી અદભુત ક્રાંતિની વાત કરી. તેમણે જણાવ્યું, “ઉત્સવ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ છે અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે કારણકે આ મહોત્સવમાંથી અનેક લોકોને પ્રેરણા અને સુખનો રાજમાર્ગ મળ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં છેલ્લા ૩૧ દિવસમાં 12100000 લોકોએ મુલાકાત લીધી છે અને 123000 લોકોએ વ્યસનમુક્તિ-ઘર સભાના નિયમો લીધા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરની દિવ્યતા , ભવ્યતા , સ્વચ્છતા , પ્રબંધન વગેરેએ સમગ્ર વિશ્વમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું.

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નાનામાં નાના માનવીથી લઈને મોટા વ્યક્તિઓને સ્પર્શી ગયા. અબ્દુલ કલામ સાહેબ આપણાં રાષ્ટ્રપતિ હતા તેમજ તેમને વિશ્વની અનેક યુનિવર્સિટીએ પી.એચ.ડી ની ડીગ્રી આપી છે પરંતુ તેઓ પ્રમુખસ્વામી મહારાજની સાધુતા અને વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા અને વિશ્વમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું છે. તેવું પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય, પ્રભાવક સમતા યુક્ત જીવન હતું.”

BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ વિનમ્ર પુરુષ હતા અને તેમનામાં અહમ્ શૂન્યતા અને નિર્માનીપણું જોવા મળતું હતું. પ્રમુખસ્વામી મહારાજ સતત આત્મારૂપે વર્તતા હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે , અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે , અનેક ઉત્સવો કર્યા છે પરંતુ તેઓ ક્યારેય બોલ્યા નથી કે , ‘ મે કર્યું છે ‘ અને હંમેશા ભગવાન અને ગુરુને જ યશ આપ્યો છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા, તેમણે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે દરેકની સંભાળ લીધી છે અને દરેકને સાચવ્યા છે એટલે દરેકને અનુભૂતિ થાય છે કે “પ્રમુખસ્વામી મહારાજ મારા છે”. આજે નહિ પરંતુ હજારો વર્ષો પછી પણ પ્રમુખસ્વામી મહારાજને લોકો યાદ કરતા રહેશે. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ક્યારેય નથી ભૂલ્યા તે રીતે આપણે પણ કાયમ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ રાખવાની છે. પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હંમેશા ગુરુ સામે જ હતી. પ્રમુખસ્વામી મહારાજના રોમે રોમમાં ભગવાન હતા અને તેઓ અવિનાશી હતા માટે તેઓ આ પૃથ્વી પરથી ગયા જ નથી અને આજે પણ તેઓ આપણી સાથે છે અને સદાય આપણી સાથે રહેશે. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી તેમજ ગુરુ પરંપરાના આશીર્વાદ અને દયાથી આ શતાબ્દી મહોત્સવ શાનદાર ઉજવાઈ ગયો છે. આ મહોત્સવની ફળશ્રુતિ એ છે કે આપણા જીવનમાં પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ નિયમધર્મ ,ભગવાનમાં શ્રદ્ધા સેવા , સમર્પણ વગેરે જેવા ગુણો આપણાં જીવનમાં દ્રઢ થાય. જેણે જેણે આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહકાર આપ્યો છે તેને ભગવાન સુખિયા કરે તેવી પ્રાર્થના. સંતો અને સ્વયંસેવકો કરેલી નિઃસ્વાર્થ સેવા કદીય ના ભુલાય તેવી છે અને સૌએ હિંમત અને બળ રાખીને તેમજ નમ્રતાથી સેવા કરી છે.”

લાખોની ભક્તમેદનીએ આરતીના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Back to top button