ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી આજે જશે કાશ્મીર, દાલ સરોવરના કિનારે કરશે યોગ; જાણો કાર્યક્રમો વિશે

  • ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ PM મોદીની જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત

નવી દિલ્હી, 20 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. તેઓ શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે યોગ દિવસની ઉજવણી કરશે. યોગ દિવસ પહેલા PM મોદી આજે ગુરુવારે સાંજે 6 વાગ્યે યુવાનોના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે. તાજેતરના સમયમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ પણ બની છે. PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ સેન્ટર અને દાલ લેકની આસપાસ એવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે, પક્ષીઓ પણ ત્યાંથી ઊડી શકતા નથી.

1500 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે

તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી જમ્મુ-કાશ્મીરને 1500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે. આ પછી, તેઓ 21 જૂને સવારે 6:30 કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન 2015થી દર વર્ષે યોગ દિવસ પર આયોજિત ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દિલ્હી, ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે અને વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં તેની બેવડી ભૂમિકાને પ્રકાશિત કરે છે. પીએમઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં યોગના પ્રસારને અને ગ્રાસરૂટની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે.

જાણો PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ:

  1. PMOએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રીનગરમાં 20 જૂને સાંજે 6 વાગ્યે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે.
  2. આ પ્રસંગે, વડાપ્રધાન સ્ટોલનું નિરીક્ષણ કરશે અને જમ્મુ-કાશ્મીરના ‘યંગ અચીવર્સ’ સાથે વાર્તાલાપ કરશે.
  3. આ સમયગાળા દરમિયાન, વડાપ્રધાન રૂ. 1,500 કરોડથી વધુના મૂલ્યની 84 મોટી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.
  4. જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને લગતા પ્રોજેક્ટ્સ સામેલ છે.
  5. આ ઉપરાંત વડાપ્રધાન ચેનાની-પટનીટોપ-નાશરી વિભાગમાં સુધારણા, ઔદ્યોગિક વસાહતનો વિકાસ અને છ સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
  6. તેઓ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા (JKCIP) રૂ. 1,800 કરોડના પ્રોજેક્ટની પણ શરૂઆત કરશે. આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે.
  7. વડાપ્રધાન સરકારી સેવામાં નિયુક્ત 2,000 થી વધુ વ્યક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ પણ કરશે.
  8. વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે બીજા દિવસે સવારે 6.30 વાગ્યે શ્રીનગરમાં મુખ્ય સમારોહનું નેતૃત્વ કરશે.

સુરક્ષા દળોને બે મોટી સફળતા મળી

આ દરમીઓયન, પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સૌથી પહેલા કુપવાડાના એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બે આતંકીઓને ઠાર માર્યા છે. બંને આતંકીઓ લશ્કર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે, જ્યારે બીજી મોટી સફળતામાં રિયાસીમાં વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકી હુમલાની તપાસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હકીમ નામના આ વ્યક્તિએ પૈસા લીધા હતા અને આતંકીઓને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. હવે આ પૂછપરછમાં બાકીના આતંકવાદીઓની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. NIA હવે આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ જુઓ: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય

Back to top button