ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી અને નવા સાંસદો લેશે શપથ, 18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતીકાલથી થશે શરૂ

  • પીએમ મોદી અને તેમના મંત્રીઓ બાદ રાજ્યવાર સાંસદોને અંગ્રેજી મૂળાક્ષરો અનુસાર શપથ લેવડાવવામાં આવશે. આ રીતે પહેલા આસામના સાંસદો અને છેલ્લે પશ્ચિમ બંગાળના સાંસદો શપથ લેશે

દિલ્હી, 23 જૂન: આવતીકાલથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. જ્યારે લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે, ત્યારે સાંસદ તરીકે શપથ લેનારા પ્રથમ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ મંત્રીઓ હશે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ તેમને શપથ લેવડાવશે. આ પછી નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. પીએમ મોદી બાદ રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરી શપથ લેશે. તે પછી મંત્રી પરિષદના અન્ય સભ્યો સાંસદ તરીકે શપથ લેશે.

નવા સાંસદો લેશે શપથ

પીએમ મોદીની કેબિનેટમાં સામેલ મંત્રીઓમાં 58 લોકસભાના સભ્યો છે. કેન્દ્રીય મંત્રી પરિષદના 13 સભ્યો રાજ્યસભાના સાંસદ છે અને એક મંત્રી રવનીત સિંહ બિટ્ટુ કોઈપણ ગૃહના સભ્ય નથી. તેઓ ભાજપની ટિકિટ પર લુધિયાણાથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. પીએમ મોદી અને તેમના મંત્રીઓ બાદ રાજ્યવાર સાંસદોને અંગ્રેજી મૂળાક્ષરો અનુસાર શપથ લેવડાવવામાં આવશે. આ રીતે પહેલા આસામના સાંસદો અને છેલ્લે પશ્ચિમ બંગાળના સાંસદો શપથ લેશે. સંસદના આ સત્રમાં શુન્યકાળ અને પ્રશ્નકાળ નહીં હોય.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું 27 જૂને સંબોધન

24 જૂને સંસદ સત્રના પહેલા દિવસે 280 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. બીજા દિવસે એટલે કે 25મી જૂને 264 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. આ પછી 26મી જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. 28 જૂનના રોજ સરકાર રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરવાનો પ્રયાસ કરશે, જોકે વિપક્ષ તાજેતરના NEET પેપર લીકને લઈને હોબાળો કરી શકે છે.

PM મોદી 2 જુલાઈએ લોકસભાને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈએ લોકસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ 3 જુલાઈએ રાજ્યસભામાં બોલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ 20 જૂને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના કટકના બીજેપી સાંસદ ભર્ત્રીહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સ્પીકરની ચૂંટણી સુધી પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે સુરેશ કોડીકુનીલ, થલીકોટ્ટાઈ રાજુતેવર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયની પણ નિમણૂક કરી છે.

સૂત્રોનું માનીએ તો સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં ભાજપને સ્પીકરનું પદ મળવાની શક્યતા છે, જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ એનડીએના સહયોગીમાંથી કોઈ એકને આપવામાં આવી શકે છે. ઈન્ડી ગઠબંધને ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી છે, જે પરંપરાગત રીતે હંમેશા વિપક્ષ પાસે જાય છે. જોકે, 17મી લોકસભામાં કોઈ ડેપ્યુટી સ્પીકર નહોતા. જો કે, ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડી ગઠબંધન બંનેએ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભાજપ નેતાની હત્યા, છાતીમાં ત્રણ ગોળી ધરબીને હત્યારા ફરાર

Back to top button