

નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે આ ચૂંટણીમાં બાજી મારવા આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ઘણાં પ્રયાસ કરી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની ચૂંટણી પહેલા હિન્દુત્વ કાર્ડ રમ્યું છે. CM કેજરીવાલે કહ્યું કે ભારતીય કરન્સી પર ગાંધીજીની સાથે ભગવાન ગણેશ અને દેવ લક્ષ્મીનો ફોટો પણ લગાડવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે જો એક તરફ ગાંધીજીની તસવીર અને બીજી બાજુ લક્ષ્મી-ગણેશની ફોટો હશે તો તેનાથી આખા દેશને તેમના આશીર્વાદ મળશે.
CM કેજરીવાલે વધુમાં કહ્યું કે લક્ષ્મીજીને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. તો ગણેશજી તમામ વિધ્ન દૂર કરે છે. તેથી આ બંને તસવીર લગાડવી જોઈએ. દિલ્હીના CMએ વધુમાં કહ્યું કે અમે તમામ નોટ બદલવાની વાત નથી કરતા, પરંતુ જે નોટ છપાય છે તેના પર આ શરૂઆત કરી શકાય છે અને ધીમે-ધીમે નવી નોટ સર્ક્યુલેશનમાં આવી જશે.
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બુધવારે કહ્યું કે- આપણે જાણીએ જ છીએ આપણા દેશની અર્થવ્યવસ્થા હાલ ઘણાં કપરાં સમયમાંથી પસાર થઈ રહી છે. આપણે જોઈ રહ્યાં છીએ કે ડોલરની તુલનાએ રૂપિયો રોજબરોજ નબળો પડી રહ્યો છે. આ બધી માર આમઆદમીએ ભોગવવી પડે છે. જેમાં સુધારો કરવા માટે મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે કોઈ મહત્વનો નિર્ણય લે.
પ્રદૂષણ અને MCD ચૂંટણી પર બોલ્યા કેજરીવાલ
આ ઉપરાંત કેજરીવાલે દિલ્હીમાં પ્રદૂષણ અને સંભવિત નિગમ ચૂંટણી પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીને સ્વચ્છ હવાવાળું શહેર બનાવીશું. અમારી મહેનતનું પરિણામ જોવા મળી રહ્યું છે અને આ વકતે દિલ્હીના પ્રદૂષણાં ઘટાડો પણ નોંધાયો છે.
નિગમની ચૂંટણી સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે દિલ્હીની જનતા હવે ઈચ્છે કે તેમના ઘરની આસપાસ સાફ-સફાઈ થાય અને તેમણે સમસ્યાઓમાંથી છૂટકારો મળે, એવામાં ચૂંટણી ગમે ત્યારે થાય તેઓ અમને જ ચૂંટશે.