સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો માર્ગ મોકળો, હાઈકોર્ટે મનાઈ હુકમ હટાવી દેતા રુદરપુરામાં મેગા ડિમોલેશન


સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે. સુરતના રુદરપુરા મ્યુન્સિપલ શોપિંગ કોમ્પ્લેક્ષ ખાલી કરાવા મુદ્દે હાઈકોર્ટે આપેલો મનાઈ હુકમ હટાવી લેવામાં આવતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્ષના અમુક દુકાનદારોએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે તેમની દુકાનને ખાલી કરવા માટે કોર્પોરેશન આપેલી નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જોકે આ મામલે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંદર્ભે કરેલા અવલોકનને ધ્યાને લીધું છે. જેમાં સુપ્રીમ કોર્ટે, ‘જાહેરહિતના મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહી’ તેવું અવલોકન કર્યું હતું. જેના પગલે આજે પાલિકાએ ચુસ્ત બંદોબસ્તા સાથે ડિમોલેશન હાથ ધરાયું છે.

51 દુકાનો તોડી પડાશે
હાઈકોર્ટના આદેશ બાદ દુકાનદારો સુપ્રીમમાં ન જતાં આજે કોમ્પલેક્ષની 51 દુકાનો તોડી પાડવા માટે પોલીસ અને પાલિકાનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. જેમણે દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ દુકાનદારો દ્વારા વિરોધ થાય તેવી શક્યતા વચ્ચે પોલીસે કાફલો ગોઠવી દીધો છે. જોકે હાલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.