પાસ નેતા અલ્પેશ અને ધાર્મિક ‘આપ’ સાથે, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાગનગરમાં આયોજીત કાર્યક્રમમાં અલ્પેશ સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાયા જેમની સાથે ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
તાનાશાહ ભાજપ વિરુદ્ધ નિર્ભયતાથી લડતા ગુજરાતના યુવા ક્રાંતિકારી નેતા શ્રી અલ્પેશભાઈ કથરિયા તથા શ્રી ધાર્મિકભાઈ માલવીયાને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ ખુબ ખુબ અભિનંદન! pic.twitter.com/x0rb5uzHLn
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 30, 2022
ભાજપથી લઈ કોંગ્રેસ માટે પાસ નેતા અલ્પેશ કથિરીયા મોટું નામ ગણવામાં આવી રહ્યું છે ત્યારે એવી અટકળો લાગી રહી છે કે અલ્પેશ વરાછા બેઠક પરથી તો ઓલપાડ કે કતારગામ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
આપમાં જોડાયા બાદ અલ્પેશે કહ્યું કે રાજનીતિના મંચ પર જઇને કંઇક કરવાનો અમે નિર્ણય કર્યો છે. અલ્પેશ કથિરીયાએ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યા હતા. અલ્પેશે કહ્યું કે 14 મહિનાથી વધારે જેલવાસ ભોગવ્યો છે. અનેક કેસો થયા છે. પરિવર્તનની લહેરમાં ખભે ખભો મેળવી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગારી ઓછી થાય અને શિક્ષણ સારુ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો : કોંગ્રેસ અને ભાજપ માટે મોટી ચિંતા, પાટીદાર નેતા અલ્પેશ અને ધાર્મિક હવે કેજરીવાલની સાથે
કેમ છે બંને નેતાઓનું આટલું મહત્વ ?
સૌ કોઈનો પ્રશ્ન છે કે કેમ અલ્પેશ અને ધાર્મિકનું મહત્વ વધુ છે ? જેના માટે સ્થાનિક સ્થિતિ સમજવી પડે. સુરતમાં પાટીદારોનું ખૂબ મોટું પ્રભુત્વ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરાછા, કામરેજ ,ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે રાજકીય પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. જેના માટે અલ્પેશ કથિરીયા સૌથી મોટું નામ છે. તેમજ વરાછાની બેઠકોથી રસ્તો સૌરાષ્ટ્રના રાજકરણ પર પણ પડી શકે છે. જેના માટે અલ્પેશ અને ધાર્મિકનું આપ સાથે જોડાણ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.