ઉમરેઠમાં ગેબનશા બાવાની દરગાહ પાસે પરિણીતાની લટકતી લાશ મળી


આણંદઃ ઉમરેઠના ગેબનશા બાવાની દરગાહ નજીક આવેલા ઝાડ પર પરણિતાની લટકતી લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે પહોંચેલી પોલીસે તપાસ કરતાં બે સંતાનની માતાએ કોઇ કારણસર આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. જો કે, હાલ આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ માટે લાશ મોકલી આપી છે.
ઝાડ પર લાશ લટકતી હતી
ઉમરેઠના જાગનાથ ભાગોળથી પાંડવનીયા તરફ જવાના રસ્તે ફાટકની પાસે આવેલા ગેબનશા બાવાની દરગાહ નજીક આવેલા ઝાડ પર રવિવાર સવારે 25થી 30 વર્ષની ઉંમરની અજાણી મહિલાની લાશ લટકતી જોવા મળી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. તપાસ કરતા ઉમરેઠના પીપળીયા ભાગોળ પાસે આવેલા તળપદા સમાજમાં અમદાવાદ લગ્ન કરાવેલી સોનલ નામની મહિલાની હતી. સોનલને લગ્ન જીવનમાં બે સંતાનો પણ છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ અંગેની જાણ થતાં ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત જણાતા અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પરંતુ તે હત્યાનો છે કે કેમ? તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે. જ્યારે લોક ચર્ચા મુજબ આ આત્મહત્યા પાછળ ઘરકંકાસ જવાબદાર છે. જે સંદર્ભે પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.