પાલિતાણા: હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે લાગી આગ,આ કારણે વન વિભાગની ચિંતા વધી


ભાવનગર, 30 માર્ચ 2025: પાલિતાણા હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ફોરેસ્ટ રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
મળતી માહિતી મુજબ, પાલિતાણા હસ્તગીરી ડુંગર પર રેવન્યૂ વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગી હતી અને તુરંત જ તે જંગલમાં ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગ અને ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. સમયસૂચકતાના કારણે ટૂંક સમયમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
વન વિભાગે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, હસ્તગીરી ડુંગર પર અનેક વન્યજીવો વસવાટ કરે છે. એવામાં આ પ્રાણીઓને લઈને વન વિભાગની ચિંતા વધી છે. જોકે, હજું સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. વન વિભાગ દ્વારા કોઈ પશુને આગના કારણે નુકસાન થયું છે કે કેમ તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું.
આ પણ વાંચો: હેલમેટ પર બોલ વાગતા મેદાનમાં જ ઢળી પડ્યો સૂર્યકુમાર યાદવ, સ્ટેડિયમમાં બેઠેલી પત્નીના શ્વાસ અધ્ધર થઈ ગયા