પાલનપુર : વડાપ્રધાનને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યા


- શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી રંગબેરંગી રોશનીનો અદ્દભૂત નજારો
- કલાત્મક શિલ્પોની સુંદર સજાવટથી અંબાજી નયનરમ્ય બન્યું
પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા. ૩૦ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે ત્યારે તેમને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના રસ્તા પર રંગબેરંગી રોશનીથી અદ્દભૂત નજારો સર્જાયો છે.
હાલ આદ્યશક્તિ મા અંબા ની આરાધનાનું નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે શક્તિના ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મા અંબા ના દર્શન પણ કરવાના છે. મા અંબાના દર્શન કરી વડાપ્રધાન ગબ્બર પર્વત ખાતે યોજાનાર મહાઆરતીમાં ભાગ લેવાના છે, ત્યારે અંબાજીમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
વડાપ્રધાનને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યા#Palanpur #Palanpurpolice #Gujarat #NarendraModi #NarendraModiingujarat #NarendraModivisitgujarat #gujaratinews #humdekhengenews #cmogujarat pic.twitter.com/plE9pZH1S9
— Hum Dekhenge News (@humdekhengenews) September 29, 2022
અંબાજી ગબ્બર રોડ પર શિલ્પોત્સવ દરમ્યાન સાપ્તિેના શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક શિલ્પો ગોઠવીને સુંદર રોશનીની સજાવટથી અંબાજીની વનરાજી પણ નયનરમ્ય બની છે.
આંખોને આંજી દેતી મનમોહક રોશની
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વાર થી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે.
રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, પૂનમનો પમરાટ, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરથી માઇભક્તો માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે.
આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે.
અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતાને રોમાંચકતાનો અનુભવ કરે છે.
આ પણ વાચો : પાલનપુર : 5 હજાર નોટબુકો વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેન્ટિંગ કરેલા ફોટાની બનાવાઈ ફ્રેમ