ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : આનંદો : ડીસા શહેરમાં ફરીથી ચાલુ થશે સીટી બસ સર્વિસ

  • નવી ટીપી સ્કીમ, અદ્યતન ટાઉનહોલ બનાવવાની દરખાસ્તને બજેટમાં મંજૂરી

પાલનપુર : ડીસા શહેરમાં ફરીથી સીટી બસ સર્વિસ ચાલુ થશે તેમજ નગરપાલિકામાં નવી ટીપી સ્કીમ લાગુ થશે અને શહેરમાં અદ્યતન કક્ષાનો ટાઉનહોલ બનાવવાની દરખાસ્તને નગરપાલિકાની બજેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. ડીસા નગરપાલિકાનું વર્ષ 2023 -24 નું 6.24 કરોડની પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ડીસા નગરપાલિકાનું રૂપિયા 6.24 કરોડની પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર

ડીસા નગરપાલિકામાં વર્ષ 2022- 23 નું રિવાઇઝ અને 2023 -24 નું વાર્ષિક બજેટ મંજૂર કરવા પાલિકાના સભાગૃહમાં બજેટ બેઠક મળી હતી. જેમાં ડીસા નગરપાલિકાનું વર્ષ 2022 -23 નું 90.68 કરોડની આવક અને 65.81 કરોડ ખર્ચ સામે 24.77 કરોડની પુરાંતવાળું રિવાઇસ બજેટ મંજૂર કરાયું હતું. જ્યારે વર્ષ 2023- 24 માટે રૂપિયા 326.59 કરોડ ની આવક સામે 320.35 કરોડની જાવક દર્શાવી રૂપિયા 6.24 કરોડની પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

 

ડીસા નગરપાલિકા દ્વારા બજેટ બેઠકમાં શહેરમાં ફરીથી સીટી બસ શરૂ સર્વિસ શરૂ કરવા દરખાસ્ત કરાઈ હતી. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો સર્વે કરી સીટી બસ સર્વિસ શરૂ કરવામાં આવશે. જેનો ડીસા શહેર તથા આજુબાજુની 15 કિલોમીટર સુધીની જનતાને લાભ મળશે. આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં પ્રથમ વખત ટીપી સ્કીમ લાગુ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ટીપી સ્કીમ લાગુ થતા શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે તેમજ આ નગર રચના અંતર્ગત લોકોને અદ્યતન સુવિધાઓ મળશે.

આ સિવાય ડીસા શહેરમાં પાલિકા દ્વારા અધ્યતન સગવડો ધરાવતો ટાઉનહોલ બનાવવાનું પણ નગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ સર્વ સભ્યોની સંમતિથી પાલિકાનું વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી કામોવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, અને શહેરીજનોને ખૂબ જ અગત્યની એવી સીટી બસ સર્વિસ નો પણ લાભ મળશે.

ડીસા પાલિકાનો અમૃત 3.0 યોજનામાં સમાવેશ થતા પાંચ વર્ષમાં રૂપિયા 100 કરોડ વધારાના મળશે

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા અમૃત 3.0 યોજનામાં ડીસા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસાના ચીફ ઓફિસર પંકજ બારોટના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ અંતર્ગત નગરપાલિકાને નલ સે જલ, સ્વચ્છ ભારત મિશન તેમજ પાણી પુરવઠા એમ ત્રણ પ્રકારના પ્રોજેક્ટ માટે દર વર્ષે રૂપિયા 20 કરોડની એટલે કે પાંચ વર્ષમાં રૂપિયા 100 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ પણ વાંચો : પાલનપુર : કુરિવાજો બંધ કરવા બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકમાં ચર્ચા

Back to top button