પાકિસ્તાને દોઢ વર્ષ પછી ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, BSF ના જવાનો પર કર્યું ફાયરિંગ


પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની રેન્જર્સે સરહદ પર વાડ લગાવી રહેલા BSF જવાનો પર ગોળીબાર કર્યો છે. જો કે બાદમાં ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. બીએસએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાની રેન્જર્સે અરનિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. આ પછી ભારતીય સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાની રેન્જર્સ ફેન્સીંગનો વિરોધ કરી રહ્યા હતા
BSFએ કહ્યું કે પાકિસ્તાનના રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની રેન્જર્સ સરહદ પર ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલી ફેન્સીંગના કામનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી તેણે બીએસએફ જવાનો પર ગોળીબાર કર્યો. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી.

આ ઘૂસણખોર અઠવાડિયા પહેલા પકડાયો હતો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં 27 ઓગસ્ટે BSFએ સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે BSFના જવાનોએ સિયાલકોટના રહેવાસી મોહમ્મદ શબાદ (45)ને ઘૂસણખોરી કરતા જોયો હતો, જ્યારે તે સરહદ પારથી અરનિયા સેક્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ચેતવણી આપવા માટે તેઓએ ગોળીબાર પણ કર્યો હતો. જે બાદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ પહેલા 25 ઓગસ્ટે એક પાકિસ્તાની ઘૂસણખોરે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન BSFએ દાણચોરીની મોટી યોજનાને નિષ્ફળ બનાવી હતી. સેના દળોએ સાંબા જિલ્લામાં સરહદ પર એક પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી આઠ કિલોગ્રામ શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું છે. આ દરમિયાન ઘૂસણખોરને પણ ગોળી વાગી હતી, જોકે ઘાયલ હાલતમાં તે પાકિસ્તાની સરહદ તરફ પાછા ફરવામાં સફળ રહ્યો હતો. 25 ઓગસ્ટના રોજ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. બાતમી મળ્યા બાદ સેનાના સતર્ક જવાનોએ આ કાર્યવાહી કરી છે, હવે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.