ગુજરાત

અમદાવાદમાં વોક વે અને ઓપન જિમ સાથેનો ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, પાર્કમાં પ્રવેશતાં જ 5થી 6 ડિગ્રી ગરમી ઓછી લાગશે

Text To Speech

અમદાવાદના ગ્રીન કવરને વધારવાના ભાગરૂપે થલતેજ ગુલમહોર પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. 4200 ચોરસ મીટર જમીનમાં બનાવાયેલા પાર્કમાં મિયાંવાકી પદ્ધતિથી 12000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઉપરાંત વોક વે, ઓપન જિમ, બેસવા માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઓક્સિજન પાર્કમાં વ્યક્તિ પ્રવેશ કરશે એટલે બહાર કરતા 5થી 6 ડિગ્રી ઓછી ગરમી અનુભવી શકશે.

છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરાયા
ધી ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લ્યુ સ્કાય અંતર્ગત બનેલા આ ઓક્સિજન પાર્કમાં સમગ્ર અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ મિયાવાંકી પદ્ધતિથી કરાયું છે. આ પાર્કમાં પ્રવેશતાની સાથે જ અનેક પક્ષીઓના કલરવના અવાજો પણ સાંભળવા મળે છે. આ ઓક્સિજન પાર્કમાં આમળા, અરીઠા, અરડૂસી, બિલી, ખીજડો, ગુંદા, જાંબુ, ખેર, લીંબુ, મહુડો, આરસ, પીપળો વગેરે મળી કુલ 43 જ્ઞાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે કોર્પોરેશને 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે શહેરમાં પ્લોટોની ઉપલબ્ધિ મુજબ અર્બન ફોરેસ્ટ ડેવલપનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરાયા છે.

BRTSનો સૌથી વધુ ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓને સાયકલ ભેટમાં
આ ઉપરાંત આજે યોજાયેલા કાર્યક્રમમાં BRTS બસનો વધુ ઉપયોગ કરનારા 4 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ પણ ભેટમાં આપવામાં આવી હતી. આજે યોજાયેલા આ ઓક્સિજન પાર્ક ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીની સાથે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, દંડક અરુણસિંહ રાજપુત, વિવિધ કમિટીઓના ચેરમેન વગેરે હાજર રહ્યા હતા.

Back to top button