આણંદના સોજિત્રા ખાતે ૧૯ ડિસેમ્બરે રોજગાર ભરતી મેળાનું આયોજન


- ભરતી મેળામાં ૧૮થી ૩૫ વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા ઉમેદવારો લઈ શકશે ભાગ
આણંદ, 14 ડિસેમ્બર : આણંદમાં જિલ્લા રોજગાર કચેરી અને સોજીત્રાની સરકારી ITIના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૧૯ ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે સોજીત્રામાં સરકારી ગોડાઉન પાસે, દૂધીપુરામાં સરકારી ITI ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરતી મેળાનો લાભ લેવા માંગતા ઉમેદવારોએ રૂબરૂ હાજર રહેવા અપીલ
આ રોજગાર ભરતી મેળામાં SSC, HSC, ITI, સ્નાતક અને અનુસ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો અને જેની ઉંમર ૧૮થી ૩૫ વર્ષ વચ્ચેની હોય તેમના માટે આ રોજગાર ભરતી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા માંગતા હોય તેમણે તેમના બાયોડેટાની પાંચ નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા આણંદના રોજગાર અધિકારી સી. બી. ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા લાયક ઉમેદવારોને તેમના અભ્યાસ મુજબ રોજગારી મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ આવેલી રોજગાર કચેરી દ્વારા તેમના નામની નોંધણી કરવામાં આવે છે અને ખાનગી કંપની દાતાઓનો સંપર્ક કરી તેમની કંપની ખાતે ખાલી જગ્યાઓ મુજબ તેમની કંપનીને અનુરૂપ યોગ્ય ઉમેદવારો મળી રહે તે માટે સંપર્ક કરીને તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ પણ જાણો :ખોડલધામનો વધુ એક પ્રકલ્પઃ 21 જાન્યુઆરીએ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન