નેશનલ

Odisha Train Accident : પીડિતોને સહાયમાં આપી 2-2 હજારની નોટો !

ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂન એટલે કે શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો.આ દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 1000 મુસાફરો ઘાયલ થયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ પીડિત પરિવારોને મદદ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ બંગાળના મૃતકોના સંબંધીઓને મદદ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે TMCએ પીડિતોને સહાયમાં 2000ની નોટ આપી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને વિરોધી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે.

પીડિત પરિવારોને સહાયમાં આપી 2000ની નોટો

 પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીડિતોના હાથમાં બે હજાર રૂપિયાના બંડલ છે. મજમુદારે પીડિત પરિવારોને આર્થિક મદદ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસની પહેલની પ્રશંસા કરી હતી. જો કે, પાછળથી સવાલ ઉઠાવ્યો કે શું TMC આના દ્વારા તેના કાળા નાણાને સફેદમાં ફેરવી રહી છે?

બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે સાંધ્યું નિશાન

પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે રાજ્યના મંત્રી વતી ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા પરિવારને 2,000 રૂપિયાની નોટમાં 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. હાથમાં બે હજારની નોટોના બંડલ લઈને બેઠેલી ત્રણ મહિલાઓનો વીડિયો શેર કરતા સુકાંતે ટ્વિટ કર્યું – મમતા બેનર્જીની સૂચના પર રાજ્યના એક મંત્રીએ તૃણમૂલ વતી મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની મદદ કરી છે. આ માટે તેમનો આભાર, પરંતુ હું અહીં એક પ્રશ્ન મૂકી રહ્યો છું.2000 રૂપિયાની નોટમાં આ બે લાખ રૂપિયાનો સ્ત્રોત શું છે? 2000 રૂપિયાની નોટોના વિતરણની આ ઘટના પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના બસંતીમાં બની છે.

સુકાંત મજુમદાર : કાળા નાણાને સફેદમાં ફેરવવાનો રસ્તો તો નથીને ?

હાલમાં બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી છે અને તેને બેંકોમાં જઈને બદલવામાં આવી રહી છે. આવા સમયે લાચાર પરિવારને બે હજારની નોટો આપીને તેમની મુશ્કેલીમાં વધારો તો નથી થયો ને? બીજું, શું કાળા નાણાને સફેદમાં ફેરવવાનો તૃણમૂલનો આ રસ્તો નથી? જોકે, સુકાંતે આ મંત્રીના નામનો ઉલ્લેખ કર્યો નથી. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા મદદની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ બંગાળના મૃતકોના સંબંધીઓને મદદ કરવાની જાહેરાત કરી હતી.

ટીએમસીએ કર્યો વળતો પ્રહાર

રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સુકાંત મજુમદારના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. ટીએમસીના મુખ્ય પ્રવક્તા કુણાલ ઘોષે સુકાંત મજુમદારની ટ્વીટને પાયાવિહોણી ગણાવી. TMC નેતા અને મુખ્ય પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું, ‘શું 2000ની નોટ અમાન્ય છે? તે જ ભાજપ સરકારે આ નોટ રજૂ કરી હતી. આ એક પાયાવિહોણી ટ્વિટ છે. આ કોઈ ગેરકાયદેસર બાબત નથી, આજે જો કોઈ કોઈને 2000ની નોટ આપે તો તે ગેરકાયદે કે કાળું નાણું નથી.

 આ  પણ  વાંચો : રાજ્યની આ બે નગરપાલિકાઓને નગર સેવા સદન નિર્માણ માટે 3 કરોડ રૂપિયા ફાળવવામા આવ્યા 

Back to top button