ટ્રેન્ડિંગનેશનલ

લો બોલો, સુપ્રીમ કોર્ટમાં હવે આવા કેસની પણ સુનાવણી થશે?

  • કેન્દ્ર સરકાર જલ્દી આ મામલે અભિપ્રાય રજૂ નહીં કરે તો સુપ્રીમ કોર્ટ લેશે આખરી નિર્ણય 

નવી દિલ્હી, 24 ઓગસ્ટ: શું કોઈ વ્યક્તિ લાઇટ મોટર વ્હીકલ (LMV) ડ્રાઇવિંગ લાયસન્સ પર ટ્રેક્ટર ચલાવી શકે છે? જેના પર લગભગ 7 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો તમારી પાસે LMV ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો તમે તેનો ઉપયોગ ટ્રેક્ટર અથવા રોડ રોલર ચલાવવા માટે કરી શકો છો. જો કે વાહનનું વજન 7,500 કિલોથી વધુ ન હોય. પરંતુ હવે તે નિર્ણયને પડકારતી અરજી પર કોર્ટ પોતાનો ચુકાદો આપવાની છે. આ પછી, તે નક્કી થઈ શકે છે કે લાઇટ મોટર વ્હીકલ (LMV) નું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ ટ્રેક્ટર જેવું વાહન ચલાવી શકે છે કે નહીં. 21 ઓગસ્ટે ભારતના મુખ્ય ન્યાયાધીશ D.Y. ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચે એવો સંકેત આપ્યો હતો કે, તે પડકારમાંથી ઉદ્ભવતા પ્રશ્નો પર સરકારના અભિપ્રાય રજૂ કરવા માટે રાહ જોશે નહીં. તેનો અર્થ એ કે તે આ અંગે જલદી નિર્ણય લઈ શકે છે. નવ મહિના પહેલા 22 નવેમ્બર, 2023ના રોજ, કેન્દ્રએ કોર્ટને જાણ કરી હતી કે તે મોટર વ્હીકલ એક્ટ, 1988 (MVA)ની કલમ 2(21) અને 10નું મૂલ્યાંકન કરશે અને સુધારાની ભલામણ કરશે. જે “લાઇટ મોટર વ્હીકલ” (LMV)ની વ્યાખ્યા અને ડ્રાઇવિંગ લાયસન્સના ફોર્મેટ સાથે સંબંધિત છે પરંતુ ત્યારથી સરકારે કોર્ટનો સંપર્ક કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બુધવારે આ કાયદાકીય પ્રશ્ન પર નિર્ણય કર્યો હતો કે “શું લાઇટ મોટર વ્હીકલ (LMV)નું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ પણ 7,500 કિલોથી વધુ વજનનું વાહન ચલાવવા માટે હકદાર છે?” પરંતુ પોતાનો નિર્ણય અનામત રાખી લીધો. હકીકતમાં, આ કાયદાકીય પ્રશ્ને LMV લાઇસન્સધારકોના પરિવહન વાહનોને સંડોવતા અકસ્માતના કેસોમાં વીમા કંપનીઓ દ્વારા દાવાની ચુકવણી અંગેના વિવિધ વિવાદોને જન્મ આપ્યો છે.

મામલો શું છે અને ક્યારે શરૂ થયો?

આ બાબતને સમજવા માટે થોડું પાછળ જવું પડશે. 2017માં, સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે, શું LMV માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતી વ્યક્તિએ પરિવહનના વાહન ચલાવવા માટે અલગ લાયસન્સ મેળવવું જરૂરી છે. તે સમયે, કોર્ટે કહ્યું હતું કે, હળવા વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવનાર કોઈપણ વ્યક્તિ રોડ-રોલર્સ, ટ્રેક્ટર અને “પરિવહન વાહનો” (જેમ કે માલવાહક અથવા શાળા/કોલેજની બસો) પણ ચલાવી શકે છે, જો કે વાહનનું વજન 7,500 કિગ્રાથી((કોઈપણ અન્ય ભાર વિના) વધુ નહીં. અહીં કોર્ટે ‘Unladen'(ભાર વગર) શબ્દનો ઉપયોગ કર્યો હતો. Unladen એટલે માત્ર વાહનનું જ વજન જેમાં ડ્રાઇવર, મુસાફરો અથવા અન્ય કોઇ ભારનો સમાવેશ થતો નથી.

મોટર વ્હીકલ એક્ટ શું કહે છે?

મોટર વાહન અધિનિયમ (MVA)ની કલમ 10 હેઠળ, દરેક ડ્રાઇવિંગ લાયસન્સને વાહનોની કેટેગરી ઓળખવી આવશ્યક છે કે જે લાયસન્સ ધારકને ચલાવવાની પરવાનગી આપે છે. તેનો અર્થ એ છે કે, તમારા લાયસન્સ પર સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે તમને કયા પ્રકારનું વાહન ચલાવવાની મંજૂરી છે. આ વિભાગ ‘લાઇટ મોટર વ્હીકલ’ (LMV) અને ‘ટ્રાન્સપોર્ટ વ્હીકલ’ને બે અલગ-અલગ શ્રેણીઓમાં વિભાજિત કરે છે. જ્યારે MVA કલમ 2(21) હેઠળ, LMVને પરિવહન વાહન અથવા બસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જેનું કુલ વજન 7500 kg કરતાં વધુ ન હોય.

અહેવાલ મુજબ, જસ્ટિસ અરુણ મિશ્રા, અમિતાવ રોય અને સંજય કિશન કૌલ (બધા હવે નિવૃત્ત)ની ડિવિઝન બેંચે કહ્યું હતું કે, 1994માં મોટર વાહન અધિનિયમમાં સુધારા દ્વારા ‘ટ્રાન્સપોર્ટ વ્હીકલ’ને એક વર્ગ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જેણે પેસેન્જર અને માલસામાન વાહનોની ચાર જૂની કેટેગરી જગ્યા લીધી હતી. જેને હળવા, મધ્યમ, ભારે અને પરિવહન(Transport) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.

તે સમયે બેંચે કહ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટ વાહનો’ની અલગ કેટેગરી LMVની વ્યાખ્યા હેઠળ આવતા વાહનો પર લાગુ થશે નહીં, કારણ કે તેના ખરાબ પરિણામો આવી શકે છે. કોર્ટે તર્ક આપ્યો હતો કે “જો ખાનગી કારના માલિક પાસે હળવા મોટર વાહન ચલાવવાનું લાઇસન્સ હોય, તો પોતાની કાર સાથે કેરિયર અથવા ટ્રેલરને જોડે છે અને તેના પર સામાનનું વહન કરે છે, તો લાઇટ મોટર વાહન એક પરિવહન વાહન બની જાય છે અને માલિકને તે વાહન ચલાવવા માટેનું લાઇસન્સ મળ્યું હોવાનું માનવામાં આવશે નહીં.”

નિર્ણયને પડકારવામાં આવ્યો હતો

જુલાઈ 2011માં, મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સને ઑટોરિક્ષા સાથેના અકસ્માતમાં અરજદારને રૂ. 5,02,800નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અપીલ પર, રાજસ્થાન હાઈકોર્ટે ઓગસ્ટ 2017માં જણાવ્યું હતું કે વીમા કંપનીએ વળતર ચૂકવવું જોઈએ કારણ કે ઓટોરિક્ષા લાઇટ મોટર વ્હીકલ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ હતું. ત્યારે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં મુકુંદ દેવાંગનમાં SCના નિર્ણયને ટાંક્યો હતો.

બજાજ આલિયાન્ઝે 2018માં સુપ્રીમ કોર્ટમાં જઈને દલીલ કરી હતી કે, મુકુંદ દેવાંગનના નિર્ણયમાં MVA હેઠળની કેટલીક જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવી નથી જે હળવા મોટર વાહનો અને પરિવહન વાહનોના સંચાલન માટેની જરૂરિયાતોમાં તફાવત દર્શાવે છે. માર્ચ 2022માં, કોર્ટે એવું માન્યું હતું કે “મુકુંદ દેવાંગનના તેના ચુકાદામાં આ અદાલત દ્વારા અમુક જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવી નથી”, અને આ કેસને બંધારણીય બેંચને મોકલી દેવામાં આવ્યો.

બંધારણીય બેંચમાં શું થયું?

જુલાઈ 2023માં બે દિવસ સુધી દલીલો સાંભળ્યા પછી, કોર્ટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ બાબતે પોતાનું વલણ રજૂ કરવા કહ્યું. જે બાદ ભારતના એટર્ની જનરલ આર. વેંકટરામણી 13 સપ્ટેમ્બર, 2023ના રોજ કોર્ટમાં હાજર થયા અને દલીલ કરી કે, મુકુંદ દેવાંગનનો નિર્ણય MVA સાથે સુસંગત જણાતો નથી. એટર્ની જનરલે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર આ મુદ્દે કાયદાકીય સ્થિતિનું પુન: મૂલ્યાંકન કરવા તૈયાર છે. જે બાદ કોર્ટે કહ્યું કે, સરકારે સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ અને સુધારા માટે રોડમેપ રજૂ કરવો જોઈએ.

મહત્ત્વપૂર્ણ છે કે, 16 એપ્રિલ, 2024ના રોજ AGએ કોર્ટને જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત સુધારો તૈયાર છે, પરંતુ તેમણે લોકસભાની ચૂંટણી સુધી કાર્યવાહી સ્થગિત કરવાનું કહ્યું, જેથી તેને સંસદમાં રજૂ કરી શકાય. જો કે, આ મહિને જ્યારે કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે AGએ કોર્ટને કહ્યું કે, આ સુધારો સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવશે (જે ડિસેમ્બરમાં શરૂ થાય છે).

CJI ચંદ્રચુડ થોડા મહિનામાં નિવૃત થતાં હોવાથી નિર્ણય જલ્દી લેવાશે 

ઉલ્લેખનીય છે કે, CJI ચંદ્રચુડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે અને જો આ મામલો વધુ મુલતવી રાખવામાં આવશે તો નવી બેંચની રચના કરવી પડશે અને દલીલો નવેસરથી સાંભળવી પડશે. આ સમગ્ર પ્રક્રિયા હજુ વધુ સમય લેશે. આ સ્થિતિને ટાળવા માટે બેંચે સુનાવણી પૂર્ણ કરીને કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, તમે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ પર ટ્રેક્ટર જેવા વાહનો ચલાવી શકો છો કે નહીં તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

આ પણ જૂઓ: મહારાષ્ટ્ર બંધની જાહેરાત ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધ, હવે શું કરશે વિરોધીઓ ?

Back to top button