- સેબી દ્વારા જાહેર કરવામાં આવ્યો નવો પરિપત્ર
- રોકાણ માટે સગીર બાળકોનું ખાતું ખોલાવવું પડશે નહીં
- આવતા મહીનેથી લાગુ પડશે નવો નિયમ
સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને લઈને નવો નિયમ જારી કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ, હવે માતાપિતા તેમના બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડ (બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ) માં રોકાણ કરી શકશે. હવે માતા-પિતા તેમના પોતાના ખાતામાંથી તેમના બાળકોના નામે સરળતાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આના માટે હવે જોઈન્ટ એકાઉન્ટ કે સગીર બાળકોનું ખાતું ખોલાવવાની જરૂર નથી. સેબીએ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.
કેવા લોકોને ફાયદો થશે ?
સેબીના આ નિયમથી એવા લોકોને ફાયદો થશે જેઓ તેમના બાળકોના ભવિષ્ય માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ પરિપત્ર નંબર (SEBI/HO/IMD/DF3/CIR/P/2019/166) માં વાલી વતી સગીરોના નામે રોકાણના નિયમમાં સુધારો કર્યો છે. સેબીના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સગીરોના નામે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ સગીર, માતા-પિતા, વાલી અને સંયુક્ત બેંક ખાતામાંથી કરી શકાય છે. આ સાથે, માર્કેટ રેગ્યુલેટર દ્વારા કહેવામાં આવ્યું છે કે સગીરના નામે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાયેલા પૈસા ઉપાડવા પર પૈસા ફક્ત સગીરના વેરિફાઈડ બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે.
ક્યારથી લાગુ પડશે નવો નિયમ ?
બદલાયેલા નિયમના અમલીકરણની તારીખ પણ સેબી દ્વારા નક્કી કરવામાં આવી છે. આ નવો નિયમ 15 જૂન 2023થી લાગુ થશે. સેબીએ તમામ AMCsના નવા નિયમો અનુસાર રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપાડવાની સુવિધા માટે જરૂરી ફેરફારો કરવાની સલાહ આપી છે.