અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, જાણો શું કહ્યું આરોગ્યમંત્રીએ?

ગાંધીનગર, 15 જુલાઈ 2024, ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળ્યાં છે. જેમાં પાંચેક બાળકોના મૃત્યુ નિપજ્યાં છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર-અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે.

સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા
આરોગ્યમંત્રીએ રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે, રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4,અરવલ્લી જિલ્લામાં 3,મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
જે તમામના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવે છે.

કુલ 4478 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું
આરોગ્યમંત્રીએ કહ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે.ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4478 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.

ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે
રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકની હોસ્પિટલમાં તપાસ પણ કરાવવી જોઈએ. મગજના તાવ (સી.એચ.પી.વી.) નો રોગચાળો તાવ ના લક્ષણો સાથે વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો. આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે.ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃસાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, હિંમતનગર સિવિલમાં 5 બાળકોના મૃત્યુ

Back to top button