હરદીપ સિંહ નિજ્જર કેસમાં PM મોદી, જયશંકર કે ડોભાલ વિરુદ્ધ કોઈ પુરાવા નહીં : કેનેડા


નવી દિલ્હી, 22 નવેમ્બર : હરદીપ સિંહ નિજ્જર કેસમાં કેનેડા સરકાર હવે બેકફૂટ પર છે. ટ્રુડો સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાના કોઈ પુરાવા નથી.
કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની દેશમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી.
ટ્રુડો સરકારની આ સ્પષ્ટતા કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમિત શાહે નિજ્જરની હત્યાનું કથિત કાવતરું ઘડ્યું હતું. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી જયશંકર અને NSA અજીત ડોભાલ આ પ્લાનથી વાકેફ હતા.
પરંતુ હવે કેનેડાની સરકારે આ આરોપોથી પોતાને દૂર રાખ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને આ આરોપો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ સંબંધમાં મીડિયા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો અને શંકાસ્પદ છે.
આ પણ વાંચો :- રાજકોટથી દિલ્હી જતી ટ્રેનના 1st AC કોચમાં બ્લાસ્ટ, જૂઓ વીડિયો