ગુજરાતટોપ ન્યૂઝ

નવો નિયમ: વીમા વિના વાહન પકડાશે તો લાગશે દંડ

હવે વાહન વીમા માટે ઓન ધ સ્પોટ નાણાં ચૂકવવા પડશે. તથા વીમા વિના પકડાયેલાં વાહનોના ફાસ્ટેગમાંથી વીમાની રકમ વસૂલવામાં આવશે. તેમજ મોટર વીમા વિના ફરતા વાહનો માટે નિયમોમાં પરિવર્તન કરવાની સરકારની તૈયારી છે. જેમાં તમામ એજન્સીઓ કોઇપણ પ્રકારની રોકટોક વિના આ યોજના લાગુ કરી શકે છે.

દંડની સાથે જ ઓન ધ સ્પોટ મોટર વાહન વીમો પણ ખરીદવો પડશે

હવે જે વાહનો પાસે મોટર વીમા પોલિસી નથી, તેમણે ટ્રાફિક ચેકિંગ દરમિયાન પકડાવા પર તરત જ મોટર વીમો લેવો પડશે. તેના માટે તેમની પાસેથી ઘટના સ્થળેથી જ નાણાં વસૂલાશે અને તે નાણાં ફાસ્ટેગમાંથી કપાશે. તે માટે સરકાર નિયમોમાં પરિવર્તન કરવા જઇ રહી છે અને આ નવો નિર્ણય લાગુ થતા જ વાહનચાલકો માટે વીમા વિના વાહન ચલાવવું વીતી વાત થઇ જશે. વાહનો માટે વીમો પણ જરૂરી હોય છે. જો કોઇ વાહન રોડ પર મોટર વીમા પોલિસી વિના ચાલતું હોય તો નિયમ અનુસાર તેને દંડ થઇ શકે છે. હાલ સુધી ચાલતા આ નિયમમાં આવનારા દિવસોમાં સુધારો કરાશે અને તેના અનુસાર દંડની સાથે જ ઓન ધ સ્પોટ મોટર વાહન વીમો પણ ખરીદવો પડશે જેની રકમ તેમના ફાસ્ટેગમાંથી કપાઇ જશે. મોટર વીમા મુદ્દે ભારતીયો ખૂબ જ બેદરકાર છે. આંકડાઓ અનુસાર ભારતમાં લગભગ 50 ટકા વાહનો વાહન વીમા વિના જ રસ્તા પર દોડી રહ્યા છે અને જો આ વાહનોને અકસ્માત થાય તો વીમો નહીં હોવાને કારણે અકસ્માતમાં પીડિત વ્યક્તિને સારવાર માટે પણ ક્લેમ મળતો નથી અને તેથી જ દરેક વાહનનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત હોય છે.

નવો નિયમ કઈ રીતે કામ કરશે?

નવી સિસ્ટમ પ્રમાણે પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી એક ઉપકરણની મદદથી વીમા વિના રોડ પર દોડતા વાહનોને તરત જ થર્ડ પાર્ટી વીમો અપાવશે. તે માટે માર્ગ અને હાઇવે મંત્રાલયના વાહન એપની મદદ લેવાશે. આ એપની મદદથી પકડાયેલા વાહનની તમામ જાણકારી મળી જશે. જો તેમાં જોવા મળે કે વાહનનો વીમો નથી તો તરત જ વાહન માલિકને મોટર વીમો ખરીદવાનો વિકલ્પ અપાશે અને વીમાની રકમ ફાસ્ટેગથી ચૂકવવાની જોગવાઇ રહેશે.

વીમા કંપનીઓને ફાસ્ટેગ પ્લેટફોર્મ પર લવાશે

આ નવા નિયમને લાગુ કરવા માટે મોટર વીમા કંપનીઓને ફાસ્ટેગ પ્લેટફોર્મ પર લવાઇ શકાય છે. તેના હેઠળ ફાસ્ટેગમાં રહેલી રકમમાંથી પ્રીમિયમ કાપી લેવાશે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના એક અધિકારી અનુસાર બેઠકમાં નવા નિયમના અમલીકરણ માટે ભલામણો તૈયાર કરાઇ રહી છે અને 17 માર્ચે યોજાનારી બેઠકમાં તેની પર ચર્ચા થશે. તેની સાથે જ રાજ્ય સરકારો સાથે મળીને આ નિયમને લાગુ કરવા વિશે વિચારણા કરાશે જેથી તમામ એજન્સીઓ કોઇપણ પ્રકારની રોકટોક વિના આ યોજના લાગુ કરી શકે.

પકડાયેલાં વાહનોને શોર્ટ ટર્મ વીમો મળે છે

IRDAIએ પહેલા જ વીમા વિના પકડાયેલાં વાહનો માટે અસ્થાયી અથવા શોર્ટ ટર્મ વીમો જારી કરવાની મંજૂરી વીમા કંપનીઓને આપેલી છે. પણ નવો નિયમ આવ્યા બાદ તેને થર્ડ પાર્ટી વીમો ઉપલબ્ધ કરાવવાની સ્કીમથી બદલી દેવાશે. હાલ તેના માટે કાનૂની અવરોધોને દૂર કરવા પર ચર્ચા થઇ રહી છે. જો જરૂર પડે તો મોટર વ્હિકલ એક્ટ અને વીમા નિયમોમાં સંશોધન કરીને તેને લાગુ કરવામાં આવશે.

Back to top button