પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માત નિવારણ માટે નવા બાયપાસને મંજૂરી


ગાંધીનગર, 17 માર્ચ : બનાસકાંઠામાં રાજ્યની મોટી એવી બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના ૧,૬૦૦ કિ.મી.લાંબા દરિયા કિનારાના બંદરો સુધી માલ પરિવહન માટે રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના કન્ટેનર્સ અને ભારે વાહનો પાલનપુરમાંથી પસાર થતા હોય છે. દેશમાં સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે. જે મંદિરો તથા જૈન દેરાસરમાં વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ તેની મોટા પ્રાણમાં નિકાસ પણ કરવામાં આવે છે. તેથી આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર રહે છે. જેથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં ૨૪.૫૩ કિ.મી. લંબાઈ અને ૬૦ મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજુરી આપવામાં આવી છે, જે માટે રૂ.૧,૦૭૫ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.
વધુમાં વિધાનસભામા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર મુખ્યમંત્રી વતી સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આપતા જણાવ્યું કે, બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીમાં અંદાજે રૂ.૧,૩૯૩ કરોડના કુલ ૧,૨૯૫.૩૦ કિ.મી. રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
વધુમાં મંત્રી જગદીશભાઈએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો શક્તિ એકસ્પ્રેસ-વે “ડીસા-પીપાવાવ રોડ’ ની ૪૩૦ કિ.મી. લંબાઈ માટે અંદાજીત રૂ. ૩૬,૧૨૦ કરોડની વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં જોગવાઈ કરી છે. આ નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ થશે.
આ ઉપરાંત અંબાજીના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કુલ ૬૬.૧૫ હેકટર જમીનમાં અંદાજે રૂ.૧,૪૦૫ કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હીલ અંબાજી આબુ રોડ કુલ ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે લાઈનનું રૂ.૨,૭૯૮.૧૬ કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો :- સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝમાંથી કેટલી આવક થઈ? મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું