NDA એટલે નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન, વારાણસીમાં PM મોદી સામે જ આવું કેમ બોલ્યા શંકરાચાર્ય


વારાણસી, 20 ઓકટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને કરોડોની કિંમતની ભેટ આપવા પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી સૌથી પહેલા હરહુઆના હરિહરપુરમાં બનેલ આરજે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કાંચીના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. શંકરાચાર્યએ NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)નો નવો અર્થ પણ આપ્યો. શંકરાચાર્યએ કહ્યું કે આપણા દેશમાં ચાલી રહેલી એનડીએ સરકાર એટલે નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન. આ સાંભળીને શંકરાચાર્યની બાજુમાં બેઠેલા પીએમ મોદી પણ હસી પડ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે.
શંકરાચાર્યએ આગળ મોદીના વખાણ કરતા કહ્યું કે સારો નેતા શોધવો ખૂબ મુશ્કેલ કામ છે. આ સમયે દેશને એક સારા નેતા મળ્યા છે. અમને એક નેતા મળ્યા છે, જે દરેકને જોડવાનું કામ કરે છે. આપણી પાસે બહુ મોટી લોકશાહી છે. આ માટે મહાન કામ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં પણ બધાને ભોજન કરાવ્યું છે. તેઓ જાણે છે કે લોકોની વેદના શું છે. તેમણે જે ધાર્યું હતું તે સાકાર થઈ રહ્યું છે. દેશમાં જેટલો બૌદ્ધિક વિકાસ જરૂરી છે તેટલો જ ધર્મનો પણ મહત્વ છે. મોદીજી આ બધું કરી રહ્યા છે. યુપીમાં તેમના સાથી યોગીજી પણ આવું જ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ, દિલ્હીમાં હાઈ એલર્ટ! NIA કરશે કેસની તપાસ