કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જામનગરની તમામ કોર્ટમાં આગામી 9 ડિસેમ્બરે નેશનલ લોક અદાલતનું આયોજન

  • ફોજદારી સમાધાનપાત્ર, લગ્ન વિષયક અને કૌટુંબિક તકરાર સહિતના તમામ કેસોનું થશે નિરાકરણ

જામનગર,05 ડિસેમ્બર : જામનગરના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.09 ડિસેમ્બરના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર, લગ્ન વિષયક તકરાર, વીજળી અને પાણી બિલ, કૌટુંબિક તકરાર સહિતના તમામ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવામાં આવશે તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 આ લોક અદાલતમાં વિવિધ કેસોનું કરવામાં આવશે નિરાકરણ

આ લોક અદાલતમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, MACPનાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ( ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ), અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

લોક અદાલતએ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણનું ફોરમ

જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓના ઉપરોકત પૈકીના તમામ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલતએ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણનું ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જામનગરની જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનો ફોન નં. ૨૫૫૦૧૦૬ ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર સિવિલ જજ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ જુઓ : INDI ગઠબંધનમાં વધ્યો તણાવ, હવે નીતિશકુમાર પણ બેઠકમાં હાજર નહીં રહે

Back to top button