ટોપ ન્યૂઝનેશનલ

મધ્યપ્રદેશના ખરગોનમાં બસ નર્મદા નદીમાં ખાબકી, અત્યાર સુધીમાં 13 મૃતદેહ નીકાળ્યા, 15નો બચાવ

Text To Speech

મધ્યપ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરોને લઈ જતી બસ નર્મદા નદીમાં ખાબકી છે. આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજની કહેવાય છે. આ પેસેન્જર બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.

ઘટનાની જાણ થતા ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બસમાં બેઠેલા લોકોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે. ખરગોનના એસપી ધરમવીર સિંહનું કહેવું છે કે અત્યાર સુધી 13 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 15 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોએ જણાવ્યું કે બસ પુલની રેલિંગ તોડીને સીધી નદીમાં ન પડી અને પથ્થરો પર પડી ત્યારબાદ તે વહેતી નદીમાં પલટી ગઈ હતી.

 

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં બસના ભાગો વેરવિખેર થઈ ગયા હતા અને કેટલાક લોકો તરીને બહાર આવ્યા હતા જ્યારે અન્ય લોકોના ત્યાં જ મોત થયા હતા. બસમાં લગભગ 55 લોકો સવાર હતા. સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહેલા બચાવકર્મીઓએ બસમાં ફસાયેલા અને નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.

હું સતત સંપર્કમાં છુંઃ મુખ્યમંત્રી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અકસ્માત પર સતત નજર રાખી રહ્યા છે. સીએમ શિવરાજે ટ્વીટમાં લખ્યું છે કે ખરગોનના ખલઘાટમાં બસ નદીમાં ખાબકી હોવાની માહિતી મળી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડી ખોટ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે. સીએમએ વધુમાં કહ્યું કે, “જિલ્લા વહીવટીતંત્રની ટીમ અકસ્માત સ્થળે હાજર છે. બસ નીકાળવામાં આવી છે. હું ખરગોન, ધાર જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. દુખની આ ઘડીમાં પીડિત પરિવાર પોતાને એકલા ન સમજે.  હું અને સમગ્ર રાજ્ય તેઓની સાથે છીએ.

Back to top button