ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

મુરાદાબાદના BJP ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું અવસાન, કાલે જ તેમની સીટ ઉપર થયું હતું મતદાન

Text To Speech

મુરાદાબાદ, 20 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે આ સીટ પર 19 એપ્રિલ એટલે કે શુક્રવારે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ મતદાન થયું હતું. જ્યારે કુંવર સર્વેશને ભાજપમાંથી ટિકિટ મળી, ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ કેન્સરથી પીડિત હતા. સર્વેશ સિંહે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પ્રથમ તબક્કા હેઠળ યુપીની 8 સીટો પર મતદાન થયું હતું. રાજ્યમાં 57.54 ટકા મતદાન થયું હતું. મુરાદાબાદમાં લગભગ 60 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2019માં આ જ સીટ પર 65.39 ટકા મતદાન થયું હતું.

વ્યવસાયે વેપારી કુંવર સર્વેશ કુમાર ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતાઓમાંના એક ગણાતા હતા. વર્ષ 2014માં સર્વેશ સિંહ મુરાદાબાદથી સાંસદ બન્યા હતા. સાંસદ બનતા પહેલા તેઓ ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી 4 વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. સર્વેશ કુમારનો પુત્ર કુંવર સુશાંત સિંહ મુરાદાબાદ લોકસભાની બધાપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. સર્વેશ કુમાર 2014માં કાંઠ વિધાનસભા ક્ષેત્રમાં લાઉડસ્પીકર વિવાદ દરમિયાન પણ ચર્ચામાં હતા.

કુંવર સર્વેશ સિંહની રાજકીય સફર

કુંવર સર્વેશ સિંહનો જન્મ 22 ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સર્વેશ સિંહે પહેલીવાર 1991માં ભાજપની ટિકિટ પર ઠાકુરદ્વારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ પછી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. 1991 બાદ સર્વેશ સિંહે 1993, 1996 અને 2002માં સતત ચૂંટણી જીતી હતી. જોકે, 2007માં તેમને બસપાના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજેપી નેતા સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહ, બિજનૌરની બાદપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે.

ભાજપે ચોથી વખત મુરાદાબાદ બેઠક પરથી ઉમેદવાર ઉતાર્યા

ભાજપે સર્વેશ સિંહને મુરાદાબાદ લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા છે. 2009માં તેઓ પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા, ત્યારબાદ 2014માં તેમણે સપાની ટિકિટ પર ડૉ.એસ.ટી. હસનનો સામનો કર્યો હતો. તેઓ આ ચૂંટણી જીત્યા હતા. આ પછી તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

Back to top button