મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલાઈ, પરિણામ 3 ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે


પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી બાદ આખો દેશ 3 ડિસેમ્બરે યોજાનારી મત ગણતરીની રાહ જોઈ રહ્યો છે. ચૂંટણી પંચે મિઝોરમમાં પરિણામની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે મતગણતરી 3જી ડિસેમ્બરને બદલે 4 ડિસેમ્બરે થશે. મતદાન પહેલા પણ મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે તમામ પક્ષો એકમત હતા. માંગણી કરનારાઓએ કહ્યું કે રવિવાર ખ્રિસ્તીઓ માટે પવિત્ર દિવસ છે. તેથી, ખ્રિસ્તી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા રાજ્ય મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવી જોઈએ.

ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા. તમામ રાજકીય પક્ષોએ આ માંગને લઈને ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મિઝોના લોકો રવિવારે પૂજા કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. આ પત્રમાં તમામ રાજકીય પક્ષો અને એનજીઓના પ્રમુખોની સહી પણ હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.