6 કલાક બાદ મળ્યું ગુમ થયેલું વિમાન: 4 ભારતીયો સહિત 22 લોકો હતા સવાર


ભારતના પાડોશી દેશ નેપાળમાં પોખરાથી જોમસોમ જઈ રહેલા તારા એરલાઈન્સનું વિમાન 9N-AETનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય, ત્રણ જર્મન અને બાકીના નેપાળી નાગરિકો હતા. ડબલ એન્જિનવાળા વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા. દરમિયાન, એરલાઈન્સ કંપનીએ તમામ મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં ચાર ભારતીયોની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી તરીકે કરવામાં આવી છે.
આ દરમિયાન નેપાળની સેનાને ટાંકીને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તારા એરલાઈન્સનું ગુમ થયેલ પ્લેન મળી આવ્યું છે. નેપાળની સેનાના જણાવ્યા અનુસાર, પ્લેન મસ્તાંગના કોવાંગમાં જોવા મળ્યું છે. જોકે, એરક્રાફ્ટની સ્થિતિ વિશે હજુ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે, સ્થાનિક લોકો દ્વારા નેપાળ સેનાને આપવામાં આવેલી માહિતી અનુસાર, તારા એરલાઈન્સનું વિમાન મનપતિ હિમાલમાં ભૂસ્ખલનને કારણે લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું. નેપાળ આર્મી જમીન અને હવાઈ માર્ગે સ્થળ તરફ આગળ વધી રહી છે.
ધૌલાગીરી પર્વત પરથી વળ્યા બાદ સંપર્ક તૂટ્યો
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, વિમાનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી તેને ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. તે જ સમયે, જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપીએ જણાવ્યું કે તેઓ સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છે.
વિમાનની શોધખોળ માટે બે હેલિકોપ્ટર તૈનાત
નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા વિમાનની શોધખોળ માટે મુસ્તાંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શોધખોળ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
નેપાળી સેનાનું MI-17 હેલિકોપ્ટર શોધ માટે રવાના
નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું કે નેપાળી સેનાનું Mi-17 હેલિકોપ્ટર મુસ્તાંગ માટે રવાના થયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધ કરશે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ગુમ થયેલા વિમાનને લઈને ઈમરજન્સી હોટલાઈન નંબર, +977-9851107021 જારી કર્યો છે. વિમાનમાં 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા. દૂતાવાસે ટ્વિટ કરીને લખ્યું છે કે દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે.