ગુજરાત

જામનગરના ફલ્લા ગામે ખેતરનું રખોપું કરવા ગયેલા ભરવાડ પર મધરાતે અજાણ્યા શખસોનો હુમલો, લૂંટ ચલાવી ફરાર

Text To Speech

જામનગરઃ તાલુકાના ફલ્લા ગામ નજીક વાડી વિસ્તારમાં મોડીરાત્રે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. ફલ્લામાં રહેતા ભરવાડ આસામી પોતાની વાડીએ પાકનું રખોપું રાખવા ગયા બાદ હુમલો કરી ચાર શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જામનગર તાલુકાના ફલ્લા ગામે રહેતા ટીનાભાઇ ભરવાડ ગતરાત્રીના પોતાની વાડીએ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે બારેક વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સોએ વાડીમાં ઘુસી ભરવાડ પર હુમલો કર્યો હતો. વાડીએ રખોપું કરવા ગયેલા ભરવાડ કંઇ સમજે તે પૂર્વે ચારેય શખ્સોએ માર મારી તેઓએ કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને રોકડ રકમ નાસી ગયા હતા.

આ બનાવની રાત્રે જ આસામીએ તેમના પુત્રને જાણ કરી હતી. વાળુંએ પહોંચેલા પુત્રએ પિતાને હોસ્પિટલ ખસેડી પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલોસે રાજકોટ જામનગર અને કચ્છના તરફના રોડ પર જુદી જુદી જગ્યાએ લગાવેલા સીસીટીવી ચેક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોનું માનવામાં આવે તો લુટારુ સખ્શો શ્રમિક હોવાનું અને ભરવાડ આસામી પર નજર રાખતા હતા. ગઈ કાલે તક મળતા બનાવને અંજામ આપી આરોપીઓ નાસી હતા. જોકે આરોપીઓના કોઈ સગડ ન મળતાં પોલીસે શોધખોળ વિસ્તારી છે. ધ્રોલ, જામનગર અને કાલાવડ પોલીસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શ્રમિક મજૂરો સુધી તપાસ કેન્દ્રિત કરી છે. આ બનાવના પગલે જિલ્લાભરમાં સનસનાટી મચી જવા પામી છે. ભોગગ્રસ્ત ભરવાડ આસામીએ પ્રાથમિક સારવાર લઇ આ બનાવને અજાણ્યા શખ્સો સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.

Back to top button