રાજ્યમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે હવામાન વિભાગે કરી આગાહી, જાણો વધુ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી ઝાંપટા પણ પડ્યા હતા. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માવઠું પડ્યું હતું. જેથી ભર શિયાળે વરસાદ વરસતા ખેડુતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે.
તાપમાનમાં થશે ઘટાડો
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ કલાકમાં વાદળછાયુ વાતાવરણ ખુલી જશે અને અને તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. મહત્વનું છે કે આજે સવારથી વાદળછાયા વાતાવરણને પગલે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી રાહત મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરે આપી માહિતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આગામી 24 કલાકમાં રાજ્યમાંથી વાદળછાયું વાતાવરણ હટી જશે. હાલ પવનની દિશા પણ બદલાઇ ગઇ છે. જેથી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે 20 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પરંતુ હવે આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જેના કારણે ગુજરાતના વાતાવરણ પર અસર જોવા નહીં મળે.
આ પણ વાંચો :સુરતમાં મલ્ટિલેવલ રેલવે સ્ટેશનના નિર્માણનો આરંભ, જાણો શું છે તેની ખાસિયત