રાજસ્થાનના ઘણા રેલવે સ્ટેશનોને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસમાં ખળભળાટ


- બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી
હનુમાનગઢ, 2 ઓકટોબર: રાજસ્થાનના ઘણા રેલવે સ્ટેશનોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ હનુમાનગઢ જંકશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પત્રમાં રેલવે સ્ટેશનોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
GRP સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ASP પ્યારેલાલ મીનાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને ખાતરી આપી કે જાહેર જનતાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના નામે પત્ર
હકીકતમાં, મંગળવારે એક અજાણ્યા વ્યક્તિએ હનુમાગઢ રેલવે સ્ટેશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર સોંપ્યો અને ત્યાંથી નીકળી ગયો. જ્યારે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પત્ર ખોલીને વાંચ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પત્ર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના નામે હતો, જેમાં મોહમ્મદ સલીમ અંસારી નામના એરિયા કમાન્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જમ્મુ અને કાશ્મીરનો છે. પત્રમાં હનુમાનગઢ જંકશન રેલવે સ્ટેશન સહિત રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
કયા કયા સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી?
આ પત્રમાં શ્રીગંગાનગર, બિકાનેર, જોધપુર, કોટા, બુંદી, ઉદયપુર, જયપુર વગેરે રેલવે સ્ટેશનોને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી રેલવે સ્ટેશનોની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી હતી. GRP અને RPF પોલીસની સાથે BSF જવાનોએ સ્ટેશનની તપાસ કરી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
આ પણ જૂઓ: પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોટી દુર્ઘટના, બે પાયલટ સહિત ત્રણ લોકોના થયા મૃત્યુ