મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવ્યો, અફીણની ખેતી કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે

છેલ્લા ચાર મહિનાથી જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરમાં સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હિંસા સંબંધિત અફવાઓને ફેલાતા રોકવા માટે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે આજથી ખતમ થઈ ગયો છે.

જો કે, તેમણે સંકેત આપ્યો કે રાજ્યમાં અફીણની ખેતી કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને કહ્યું કે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને મોનિટરિંગ ચાલુ રાખશે. મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ ઈન્ટરનેટ દ્વારા મૃત્યુ અને અથડામણની નકલી માહિતી સતત ફેલાવવામાં આવી રહી હતી. આ કારણસર સરકારે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
સીએમ બિરેન સિંહે કહ્યું, “હું રાજ્યના લોકોને જણાવવા માંગુ છું કે આજથી ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. અફવાઓ ફેલાતી રોકવા માટે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.”
શા માટે મણિપુરમાં હિંસા થઈ ?
મણિપુરનો વૈષ્ણવ મૈતેઈ સમુદાય લાંબા સમયથી પોતાને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે. આ વખતે બીજેપીની આગેવાની હેઠળની સરકારમાં મોટી સંખ્યામાં મૈતેઈ સમુદાયના ધારાસભ્યો છે, ત્યારબાદ તેમની માંગણીઓ પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેના વિરોધમાં રાજ્યના ખ્રિસ્તી કુકી સમાજે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેના જવાબમાં મૈતેઈ સમુદાયએ વિરોધ કરવાનું શરૂ કર્યું. 3 મેના રોજ કુકી સમાજ દ્વારા ‘આદિવાસી એકતા માર્ચ’ના નામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પછી હિંસા ફાટી નીકળી હતી.
હિંસામાં 160 લોકોના મોત થયા
છેલ્લા ચાર મહિનામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થિતિ સામાન્ય રાખવા માટે ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્ય પોલીસની સાથે આસામ રાઈફલ્સ અને અન્ય અર્ધલશ્કરી દળો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત છે.
મણિપુરની એક આદિવાસી મહિલાનો નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પર મણિપુરની સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.