બનાસકાંઠા જિલ્લામાં 47 આરોગ્ય કેન્દ્રો માટે જમીનની ફાળવણી


પાલનપુર: રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આરોગ્ય સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ થાય તે માટે માળખાગત સવલતોનું નિર્માણ કરવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 47 જેટલા આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે જમીનની ફાળવણી કરાઈ છે.
વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં
વિધાનસભા ખાતે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના નિર્માણ માટે જમીનની ફાળવણીના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી એ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે 9 અને પેટા આરોગ્ય કેન્દ્રો માટે 70 અરજીઓ મળી કુલ 79 અરજીઓ મળી હતી. આ પૈકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે 7 અને પેટા આરોગ્ય કેન્દ્ર માટે 40 મળી કુલ 47 સ્થળો માટે સરકારી જમીનની ફાળવણી કરાઈ છે.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતએ આપી માહિતી
તેમણે ઉમેર્યું કે, સરકારી જમીનની ફાળવણી ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ હેઠળ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારે ગૌચરની ખરાબાની જમીનમાંથી ગૌચર નીમ કર્યા બાદ જે જમીન વધે એ જમીન સરકારી બાંધકામ માટે ફાળવવામાં આવે છે અને આ જમીન ફાળવણીની સત્તા સ્થાનિક સ્થળે જિલ્લા કલેકટર તથા વધુ જમીનની માંગ હોય તો રાજ્ય કક્ષાએ મહેસુલ વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવે છે.
આ પણ વાંચો :અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે, જાણો શું નિર્ણય લેવાયો તંત્ર દ્વારા !