

પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રાએ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધું છે. વાસ્તવમાં મહુઆ મોઇત્રાએ મા કાલી પર નિવેદન આપ્યું હતું. આ પછી પાર્ટીએ તેમના નિવેદનથી અંતર બનાવ્યું હતું. મહુઆ મોઇત્રા હાલમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ફોલો કરી રહી છે.
હકીકતમાં, ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદ ચાલુ છે. જેમાં મા કાલીને સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના એક હાથમાં LGBT સમુદાયનો રંગબેરંગી ઝંડો પણ દેખાઈ રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની છે. આ પોસ્ટર બાદ હિન્દુ સમાજના લોકોએ ભારે વિરોધ કર્યો હતો.

મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, તમે તમારા ભગવાનને કેવી રીતે જોશો. જો તમે ભૂટાન અને સિક્કિમ જાઓ તો સવારની પૂજામાં ભગવાનને વ્હિસ્કી ચઢાવવામાં આવે છે, પરંતુ જો તમે ઉત્તર પ્રદેશમાં કોઈને પણ આ પ્રસાદમાં આપો છો તો તેની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. મોઈત્રાએ વધુમાં કહ્યું હતું કે, મારા માટે કાલી મા માંસ ખાનારા અને શરાબ પીનારાના રૂપમાં છે. કાલી દેવીના અનેક સ્વરૂપો છે.

TMCએ મોઈત્રાના નિવેદનથી અંતર જાળવ્યું
મહુઆના આ નિવેદનનો વિરોધ વધી ગયો, ત્યારે ટીએમસીએ તેમના નિવેદનથી અંતર જાળવ્યું હતું. પાર્ટીએ કહ્યું છે કે દેવી કાલી પર મહુઆ મોઇત્રાની ટિપ્પણી તેમના અંગત મંતવ્યો છે. પાર્ટી તેમના નિવેદનનું સમર્થન નથી કરતી. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ આવી ટિપ્પણીઓની સખત નિંદા કરે છે.
વિવાદ સામે આવ્યા બાદ મહુઆએ સ્પષ્ટતા કરી
આ મામલે વિવાદ વધી ગયા બાદ મહુઆ મોઇત્રાએ સ્પષ્ટતા કરી હતી. તેમને કહ્યું કે, “જૂઠું બોલવાથી તમે વધુ સારા હિંદુ નહીં બની શકો. મેં ક્યારેય કોઈ ફિલ્મ કે પોસ્ટરને સમર્થન આપ્યું નથી. તેમજ ધુમ્રપાન શબ્દનો ઉલ્લેખ પણ કર્યો નથી. મારી પાસે એક સૂચન છે. ભોગ તરીકે શું ચઢાવવામાં આવે છે તે જોવા માટે તમે તારાપીઠ ખાતે માતા કાલીની મુલાકાત લો. જય મા તારા”