ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ક્યારે આવશે ભારત ?

  • મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને જલ્દી દુબઈથી પકડીને ભારત લાવવામાં આવશે
  • ચંદ્રાકર દુબઈમાં નજરકેદ થતા તેની ધરપકડ અને તેને દુબઈથી ભારત લાવવાનો રસ્તો થયો સાફ

નવી દિલ્હી, 27 ડિસેમ્બર : મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના ઠેકાણાનો ખુલાસો થયો છે અને તેને જલ્દી પકડીને ભારત લાવવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર, સૌરભ ચંદ્રાકરનું લોકેશન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મળી આવ્યું છે અને દુબઈના અધિકારીઓએ કહ્યું છે કે, “તેને નજરકેદમાં રાખવામાં આવ્યો છે.” ઉલ્લેખનીય છે કે, સૌરભ ચંદ્રાકર મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના બે મુખ્ય આરોપીઓમાંથી એક છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. સૌરભ ચંદ્રાકર વિશે એવું કહેવાય છે કે, તે દુબઈથી પોતાનો બિઝનેસ ચલાવે છે. હવે તેની ધરપકડ અને તેને દુબઈથી ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

સૌરભ ચંદ્રાકરના ઘર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

દુબઈમાં નજરકેદ બાદ ચંદ્રાકરને ઘરની બહાર જવાની પરવાનગી નથી અને વિદેશી એજન્સીઓ પણ તેની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. અહેવાલ મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર ઈન્ટરપોલે સૌરભ ચંદ્રાકરને લઈને રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી અને આ નોટિસ બાદ જ મધ્ય પૂર્વના દેશો તેના પર કાર્યવાહી કરી રહ્યા છે. ગલ્ફ દેશના અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે કે ભારતીય સત્તાવાળાઓ ફરી એકવાર ચંદ્રાકરને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરે, જેથી તેઓ તેની તાત્કાલિક ધરપકડ કરી શકે. ભારતનો UAE સાથે પ્રત્યાર્પણ કરાર છે, જેનાથી ચંદ્રાકરને ભારત લાવવાનું સરળ બનશે.

મહાદેવ સટ્ટાબાજી એપનો સમગ્ર મામલો શું છે?

છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિશેષ અદાલતમાં કેસ ચાલી રહ્યો છે અને આ કેસના આધારે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. આ કેસમાં તપાસની જવાબદારી દેશની કેન્દ્રીય એજન્સીઓની છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ UAEમાં તેમની ઓફિસ દ્વારા મહાદેવ સટ્ટાબાજી એપનું સંચાલન કરતા હતા. બંનેએ આ એપ દ્વારા મની લોન્ડરિંગ અને હવાલા વ્યવહારો કર્યા છે.

મળતી માહિતી મુજબ, આ કેસમાં ઓછામાં ઓછા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. મહાદેવ એપ કેસએ હાઇ-પ્રોફાઇલ કૌભાંડ છે જેમાં ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ દ્વારા પોકર, પત્તાની રમતો, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ક્રિકેટ જેવી વિવિધ રમતો પર ગેરકાયદેસર જુગારની તકો સામેલ છે. આમાં જે ખાસ વાત સામે આવી છે તે એ છે કે, જે લોકો આ એપનો ઉપયોગ કરતા હતા તેમાંથી મોટાભાગના લોકો હારી જતા હતા.

આ પણ જુઓ :Deepfake થી બચવા સરકારે જાહેર કરી એડવાઈઝરી

Back to top button