મહાકુંભ 2025: બ્રિટનના પ્રખ્યાત ટ્રાવેલ રાઇટર્સ 25-26 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે
![maha kumbh - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/12/maha-kumbh.jpg)
પ્રયાગરાજ, 11 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજ કુંભ મેળા 2025ની ભવ્યતા અને દિવ્યતા માત્ર દેશભરના યાત્રાળુઓને જ આકર્ષિત કરી રહી નથી, પરંતુ વિદેશી પ્રવાસીઓ અને મુસાફરી લેખકોનું પણ ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ સંદર્ભમાં બ્રિટનના પ્રસિદ્ધ પ્રવાસી લેખકોનું એક જૂથ 25થી 26 ફેબ્રુઆરીનાં રોજ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની મુલાકાત લેશે. આ યાત્રા દરમિયાન આ ગ્રુપ માત્ર કુંભ મેળા જ નહીં પરંતુ અન્ય ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો પણ નિહાળશે.
ઉત્તરપ્રદેશનાં પ્રવાસન મંત્રી શ્રી જયવીર સિંહે ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં પ્રવાસનની પ્રચૂર શક્યતાઓ છે, પણ વિદેશી પ્રવાસીઓમાં તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટ્રાવેલ રાઇટર્સ અને પત્રકારોને રાજ્યના પ્રવાસન સ્થળોને વૈશ્વિક ફલક પર રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. બ્રિટિશ પ્રવાસ લેખકોની મુલાકાત આ પ્રયાસનો એક ભાગ છે, જેનો હેતુ વૈશ્વિક પર્યટન નકશા પર ઉત્તર પ્રદેશનો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો નિશ્ચિતપણે સ્થાપિત કરવાનો છે.
પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ દ્વારા મહાકુંભ દરમિયાન વિદેશી પ્રવાસીઓ માટે ખાસ આયોજનો તૈયાર કરવામાં આવ્યા છે. જેથી તેઓ આ અનોખી ઘટનાનો અનુભવ કરી શકે. વિદેશી પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાવાની તક મળે તે માટે સરકાર રહેવાની સુવિધા, માર્ગદર્શન સેવાઓ, ડિજિટલ માહિતી કેન્દ્રો પ્રદાન કરી રહી છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
બ્રિટિશ પ્રવાસકારોનું જૂથ કુંભ મેળાની મુલાકાત લેશે એટલું જ નહીં, પરંતુ પ્રયાગરાજ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રયાગરાજ કિલ્લો, આનંદ ભવન, અક્ષયવટ, આલ્ફ્રેડ પાર્ક અને સંગમ વિસ્તાર જેવા સ્થળો ફરશે. આ ઉપરાંત તેઓ ઉત્તર પ્રદેશના અયોધ્યા, વારાણસી અને લખનઉ સહિત અન્ય મુખ્ય પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે અને રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સાક્ષી બનશે.
બ્રિટીશ પ્રવાસ લેખકોની મુલાકાત રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બની રહેશે. આ મુલાકાતથી કુંભ મેળાની ભવ્યતા દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં મદદ મળશે એટલું જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશને એક મુખ્ય વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉત્તર પ્રદેશનો સમૃદ્ધ વારસો, આધ્યાત્મિક સ્થળો અને કુદરતી સૌંદર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે અને રાજ્યને વિશ્વના ટોચના પર્યટન સ્થળોમાં સામેલ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું સરકારનું લક્ષ્ય છે.
આ પણ વાંચો: VIDEO: બસની અંદર સાંઢ ઘુસી ગયો, કાચ તોડી હાહાકાર મચાવી દીધો, ડ્રાઈવર-કંડક્ટર કૂદીને ભાગ્યા